લાલ કિલ્લાના કાર બ્લાસ્ટ કેસમાં, ગુપ્તચર એજન્સીઓએ 3 ડોકટરો ડો. ઉમર, ડો. મુઝમ્મિલ અને ડો. શાહીન સાથે જોડાયેલી રૂ. 20 લાખની મની ટ્રેલનો ખુલાસો કર્યો છે. સૂત્રોનું માનીએ તો હવાલા નેટવર્ક દ્વારા આ રકમ ‘ડોક્ટર્સ ટેરર મોડ્યુલ’ સુધી પહોંચી હતી. આ રકમ જૈશ-એ-મોહમ્મદના સંચાલક દ્વારા મોકલવામાં આવી હોવાની શંકા છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે લાલ કિલ્લામાં બ્લાસ્ટ કરનાર ડો. ઉમર અને ટેરર મોડ્યુલના સભ્ય ડો. શાહીન વચ્ચે આ ફંડને લઈને વિવાદ થયો હતો.
એવું માનવામાં આવે છે કે 20 લાખ રૂપિયામાંથી લગભગ 3 લાખ રૂપિયા 26 ક્વિન્ટલ NPK ખરીદવામાં ખર્ચવામાં આવ્યા હતા, જે બ્લાસ્ટમાં વાપરી શકાય તેવું ખાતર હતું. અધિકારીઓએ જાહેર કર્યું કે ડૉ. ઉમર ઉન નબી અને ડૉ. શાહીન વચ્ચે 20 લાખ રૂપિયાની રકમના સંચાલનને લઈને તણાવ ઊભો થયો હતો. પૈસાના ઉપયોગ અંગે બંનેના અલગ-અલગ મંતવ્યો હતા.
સૂત્રોએ જણાવ્યું કે મોડ્યુલના ત્રીજા સભ્ય ડો. મુઝમ્મિલ પાસેથી મળેલા ઇનપુટએ ટેરર ફંડિંગ નેટવર્કની સંપૂર્ણ લિંકને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે લાલ કિલ્લાની નજીક જ્યાં બ્લાસ્ટ થયો હતો તે વિસ્તારમાંથી ત્રણ કારતૂસ મળી આવ્યા છે. આ નવ એમએમ કેલિબરના હોય છે, જે સામાન્ય રીતે સુરક્ષા દળો પાસે હોય છે. જોકે, પોલીસને ત્યાંથી કોઈ પિસ્તોલ કે તેનો કોઈ ભાગ મળ્યો ન હતો, જેના કારણે સવાલ એ થાય છે કે આ કારતુસ ત્યાં પહોંચ્યા કેવી રીતે?
દિલ્હી પોલીસે પહેલાથી જ ડૉ. આદીલ અહેમદ રાધર, ડૉ. મુઝમ્મિલ શકીલ અને ડૉ. શાહીન સઈદની ધરપકડ કરી છે. તપાસ એજન્સીઓ એ પણ માને છે કે લગભગ 8 શંકાસ્પદ લોકો કથિત રીતે 4 સ્થળોએ સંકલિત વિસ્ફોટ કરવાની તૈયારી કરી રહ્યા હતા. દરેક જોડીને એક શહેર સોંપવામાં આવ્યું હતું. આતંકવાદીઓ IED સાથે જોડીમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. દિલ્હી વિસ્ફોટો ડો.ઉમર ઉન નબીએ કરાવ્યા હતા. તેના ડેડ બોડીમાંથી લીધેલા સેમ્પલનો ડીએનએ રિપોર્ટ તેની માતાના ડીએનએ રિપોર્ટ સાથે મેચ થયો હતો.

