ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ પણ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી શકે છે પરંતુ હવે સ્થિતિ કરો યા મરોની છે. ભારતના પાંચ મેચમાં ચાર પોઈન્ટ છે અને તે હજુ ચોથા સ્થાને છે. ન્યુઝીલેન્ડના પણ માત્ર ચાર પોઈન્ટ છે પરંતુ તેનો નેટ રન રેટ ભારત કરતા ઓછો છે. હવે ટીમ ઈન્ડિયા માટે સેમિફાઈનલમાં પહોંચવાનો સૌથી સરળ રસ્તો સતત બે જીત છે. ભારતીય ટીમે આગામી બે મેચ ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે રમવાની છે. આ મેચો જીત્યા બાદ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી જશે.
પરંતુ અહીં સવાલ એ છે કે જો ભારત બાકીની બેમાંથી એક મેચ હારી જાય તો શું થશે? જો ભારત આગામી બેમાંથી એક મેચ હારી જાય છે, તો તેની ક્વોલિફિકેશન ફરીથી ન્યુઝીલેન્ડની હાર પર નિર્ભર રહેશે અને તેણે તેની એક મેચ પણ મોટા અંતરથી જીતવી પડશે. એકંદરે ટીમ ઈન્ડિયા પાસે હજુ પણ સેમીફાઈનલમાં પહોંચવાની તક છે.
ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 288 રન બનાવ્યા હતા. હિથર નાઈટે શાનદાર ઈનિંગ રમી અને માત્ર 91 બોલમાં 109 રન બનાવ્યા. વિકેટકીપર એમી જોન્સે પણ 56 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ 4 અને શ્રી ચારણીએ 2 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે સારી બેટિંગ કરી હતી. સ્મૃતિ મંધાનાએ 88 રન, હરમનપ્રીત કૌરે 70 રન અને દીપ્તિ શર્માએ 50 રન બનાવ્યા હતા પરંતુ તેમ છતાં ટીમ ચાર રનથી મેચ હારી ગઈ હતી.

