આતંકવાદી મોડ્યુલ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા બાદ એક ડ્રાયફ્રુટ્સ વિક્રેતાએ પોતાની જાતને આગ લગાવી દીધી હતી. સોમવારે શ્રીનગરની એક હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, બિલાલ અહેમદ વાનીએ રવિવારે કાઝીગુંડમાં પોતાની જાતને આગ લગાવી દીધી હતી. અનંતનાગની હોસ્પિટલમાં રવિવારે મોડી રાત્રે તેમની તબિયત બગડતાં તેમને SMHS હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તેણે જણાવ્યું કે વાનીનું મોત મધરાત બાદ થયું હતું.
પોલીસે આતંકવાદી મોડ્યુલ કેસમાં પૂછપરછ માટે વાની અને તેના પુત્ર જાસિર બિલાલની અટકાયત કરી હતી. બિલાલને બાદમાં છોડી દેવામાં આવ્યો હતો જ્યારે તેનો પુત્ર પૂછપરછ માટે કસ્ટડીમાં છે, એમ તેમણે જણાવ્યું હતું. વાની ડો. મુઝફ્ફર રાથરનો પાડોશી છે, જે વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલ કેસમાં મુખ્ય આરોપી તરીકે ઉભરી આવ્યો છે. એવું માનવામાં આવે છે કે મુઝફ્ફર હાલમાં અફઘાનિસ્તાનમાં છે, જ્યારે તેના નાના ભાઈ ડૉ. આદિલ રાથેરની ઉત્તર પ્રદેશના સહારનપુરથી નવેમ્બર 6માં ધરપકડ કરવામાં આવી હતી.
કાવતરામાં સામેલ કાશ્મીરી યુવકની ધરપકડ
બીજી તરફ NIAએ કાશ્મીરના એક વ્યક્તિની ધરપકડ કરી છે જે લાલ કિલ્લા પાસે બોમ્બ બ્લાસ્ટ કેસમાં આત્મઘાતી બોમ્બર ડો.ઓમર ઉન નબી સાથે ષડયંત્રમાં સામેલ હતો. દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં 13 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટમાં વપરાયેલી કાર આમિર રાશિદ અલીના નામે રજીસ્ટર હતી અને તેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ પાસેથી કેસ સંભાળ્યા બાદ NIAએ મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે જમ્મુ-કાશ્મીરના પમ્પોરના સંબુરાના રહેવાસી આરોપીએ આત્મઘાતી બોમ્બર ઉમર સાથે મળીને આતંકવાદી હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું.

