આફ્રિકન દેશ નાઈજીરીયામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ઉત્તર-પૂર્વીય શહેર મૈદુગુરીમાં બુધવારે રાત્રે એક મસ્જિદમાં નમાજ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે લગભગ 5 લોકોના દુઃખદ મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ મુજબ બ્લાસ્ટ આત્મઘાતી હુમલો હોવાનું જણાય છે.
બોર્નો પોલીસ કમાન્ડના પ્રવક્તા નહુમે આ ઘટના અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું, “પ્રાથમિક તપાસ સૂચવે છે કે આ ઘટના આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ હોઈ શકે છે. ઘટનાસ્થળેથી શંકાસ્પદ આત્મઘાતી જેકેટના કેટલાક ટુકડાઓ મળી આવ્યા છે અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. જો કે, ઘટનાનું ચોક્કસ કારણ અને સંજોગો જાણવા માટે હજુ તપાસ ચાલુ છે. આ સમયે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ખૂબ જ વહેલું છે.”
દાસોએ કહ્યું કે આ વિસ્તારમાં અન્ય વિસ્ફોટક ઉપકરણો હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે.
નોંધનીય છે કે આ હુમલો નાઈજીરીયાના સૌથી અશાંત ઉત્તરીય ક્ષેત્રમાં તાજેતરના હુમલાઓની શ્રેણીનો એક ભાગ છે. અહીંની સ્થાનિક સરકાર બોકો હરામ અને પશ્ચિમ આફ્રિકાના ઈસ્લામિક સ્ટેટ સહિત ઘણા ઉગ્રવાદી જૂથો સામે લડી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, 2009થી ચાલી રહેલી આ હિંસામાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે.જો કે હજુ સુધી કોઈએ મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી નથી, પરંતુ આવા આત્મઘાતી હુમલાઓ ઘણીવાર બોકો હરામ સાથે જોડાયેલા હોય છે, જેણે ભૂતકાળમાં નાઈજીરિયામાં આવા અનેક હુમલાઓ કર્યા છે.
નિષ્ણાંતોના મતે છેલ્લા ઘણા સમયથી બોકો હરામ તરફથી આવા હુમલાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, સંગઠન પાસે હજુ પણ આવા હુમલા કરવાની શક્તિ છે. ગયા વર્ષે જ લગ્ન સમારોહને નિશાન બનાવીને થયેલા હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા.

