લખનૌ ગયા વર્ષે માઘ મેળા દરમિયાન એક સગીર સહિત બે લોકોના જાતીય શોષણના આરોપમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય મુકુંદાનંદ બ્રહ્મચારી વિરુદ્ધ પ્રયાગરાજમાં FIR નોંધવામાં આવી છે.
શનિવારે પ્રયાગરાજના સ્પેશિયલ જજ (પોક્સો એક્ટ)ના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આશુતોષ બ્રહ્મચારી મહારાજ અને અન્ય લોકોની અરજી પર કેસ નોંધવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, એફઆઈઆર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) એક્ટ અને બીએનએસની સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવી છે.
ફરિયાદમાં અવિમુક્તેશ્વરાનંદ અને મુકુંદાનંદ બ્રહ્મચારી ઉપરાંત બેથી ત્રણ અજાણ્યા લોકોના નામ પણ છે.
FIR મુજબ, ફરિયાદકર્તાઓમાં સ્વામી રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારી મહારાજ અને બે લોકોનો સમાવેશ થાય છે – જેમાંથી એક સગીર છે – જેમણે ગુરુકુળમાં અને માઘ મેળા સહિત ધાર્મિક કાર્યક્રમો દરમિયાન જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આરોપીએ ધાર્મિક ગુરુ તરીકે ઓળખાણ આપીને ગત વર્ષે એક સગીર અને અન્ય યુવકનું અનેકવાર યૌન શોષણ કર્યું હતું.
વધુમાં આરોપ છે કે આ કૃત્યો “ગુરુ સેવા”ની આડમાં અને ધાર્મિક સત્તાનો દુરુપયોગ કરીને કરવામાં આવ્યા હતા. ફરિયાદીઓએ દાવો કર્યો હતો કે અગાઉ ઝુંસી પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી, પરંતુ કોઈ એફઆઈઆર નોંધવામાં આવી ન હતી, ત્યારબાદ તેઓએ કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો.
કોર્ટના નિર્દેશ બાદ ઝુંસી પોલીસ સ્ટેશને શનિવારે મોડી રાત્રે એફઆઈઆર નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. ધરપકડ અંગે પોલીસ તરફથી તાત્કાલિક કોઈ નિવેદન આવ્યું નથી.

