નવી મુંબઈ આગ: સોમવાર અને મંગળવારે રાત્રે લગભગ 2 વાગ્યે નવી મુંબઈમાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી. જેના કારણે 6 વર્ષના બાળક સહિત ચાર લોકોના મોત થયા હતા. આ ઘટના વાશીના રાહેજા કોમ્પ્લેક્સમાં બની હતી, જ્યાં ત્રણ ફ્લેટમાં આગ લાગી હતી. આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓએ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું.
મૃત્યુ પામેલા લોકોની ઓળખ વૈદિક બાલકૃષ્ણ (6 વર્ષ), પૂજા રાજન (39 વર્ષ), સુંદર બાલકૃષ્ણન (46 વર્ષ) અને કમલ હીરાલાલ જૈન (84 વર્ષ) તરીકે થઈ છે. આગમાં ચારના મોતની સાથે અન્ય નવ લોકો ઘાયલ થયા હતા. આ તમામની સારવાર ચાલી રહી છે. ઘાયલોમાં માનવેન્દ્ર ઘોષ (69 વર્ષ), મલ્લિકા ઘોષ (58 વર્ષ), રિતિકા ઘોષ (39 વર્ષ), ભાવના જૈન (49 વર્ષ), મહાવીર જૈન (51 વર્ષ), ક્રિશ જૈન (21 વર્ષ), નિર્મલ જૈન (53 વર્ષ), મેહુલ જૈન (32 વર્ષ) અને સુમંતિ ટોપનો (18 વર્ષ)નો સમાવેશ થાય છે.
મુંબઈમાં સોમવારે સવારે લગભગ 4.15 વાગ્યાની આસપાસ એક 15 વર્ષના છોકરાનું આગમાં મૃત્યુ થયું હતું. કફ પરેડ, કેપ્ટન પ્રકાશ પેઠે રોડ પર શિવશક્તિ નગરની એક નાની ચાલમાં આગ લાગી હતી. મૃતક છોકરાની ઓળખ યશ વિઠ્ઠલ ખોટ તરીકે થઈ છે. આ આગમાં અન્ય ત્રણ લોકો પણ ઘાયલ થયા છે. ઘાયલોમાં દેવેન્દ્ર ચૌધરી (30 વર્ષ), વિરાજ ખોટ (13 વર્ષ) અને સંગ્રામ કુર્ને (25 વર્ષ)નો સમાવેશ થાય છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેની સારવાર કરવામાં આવી રહી છે.

