નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2026ની સેમી ફાઇનલમાં પહોંચ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરી રહ્યા છે. મોહમ્મદ આમિરે થોડા દિવસો પહેલા એક પાકિસ્તાની ટીવી શોમાં કહ્યું હતું કે પાકિસ્તાન ક્વોલિફાય થાય કે ન થાય, ભારત ચોક્કસપણે સેમિફાઇનલમાં નહીં જાય. તેણે આ નિવેદનને ઘણી વાર દોહરાવી. ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી સુપર-8ની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ત્યારથી આમિર સોશિયલ મીડિયા પર ભારતીય ફેન્સના નિશાના પર છે.
ભારતીય પ્રશંસકો આમિરને સલાહ આપી રહ્યા છે કે ભારતીય ટીમ પર ટિપ્પણી કરવાને બદલે તેણે પોતાની ટીમને જોવી જોઈએ અને તેને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સે આમિરને તેની જૂની ફિક્સિંગ સ્ટોરી પણ યાદ અપાવી છે. સંજુ સેમસનની શાનદાર અને અણનમ 97 રનની ઈનિંગના કારણે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
વેસ્ટ ઈન્ડિઝે ભારતીય ટીમને 196 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમે અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને હાર્દિક પંડ્યાની એક-એક વિકેટ ગુમાવી દીધી હતી. ઈનિંગની શરૂઆત કરવા આવેલા સંજુ સેમસને 50 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 97 રનની અણનમ ઈનિંગ રમીને ભારતને જીત અપાવી હતી. ભારતે 19.2 ઓવરમાં 5 વિકેટે 199 રન બનાવીને 5 વિકેટે મેચ જીતી લીધી હતી. સેમસન પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમની સેમીફાઈનલ મેચ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

