રેવા:ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. આ પ્રથમ વખત હતો જ્યારે દેશના વડાપ્રધાને સશસ્ત્ર દળોને કોઈપણ રાજકીય હસ્તક્ષેપ વિના ખુલ્લા નિર્ણયો લેવાની મંજૂરી આપી હતી. મધ્યપ્રદેશના રીવા સ્થિત ટીઆરએસ કોલેજમાં શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં આ સ્પષ્ટતા અને નિર્ણાયક અભિગમ સેનાને ઐતિહાસિક સફળતા તરફ દોરી ગયો.
જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ માત્ર એક સૈન્ય વિજય નથી પરંતુ તે ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા અને શાંતિ પુનઃસ્થાપિત કરવાનું એક મિશન હતું. તેમણે જણાવ્યું કે આ અભિયાનનું નામ ખુદ વડાપ્રધાન મોદીએ આપ્યું હતું. તેમણે કહ્યું કે ‘સિંદૂર’ શબ્દ ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડો સંબંધ ધરાવે છે અને જ્યારે કોઈ માતા, બહેન અથવા પુત્રી સિંદૂર લગાવે છે, ત્યારે તે દેશની સરહદોનું રક્ષણ કરી રહેલા સૈનિક પ્રત્યે કૃતજ્ઞતાનું પ્રતીક છે.
જનરલ દ્વિવેદીએ કહ્યું કે હિંમત, આત્મવિશ્વાસ અને શાંતિના ત્રણ સિદ્ધાંતોએ આ અભિયાનમાં સેનાને માર્ગદર્શન આપ્યું. તેમણે કહ્યું કે સેના, નૌકાદળ અને વાયુસેનાના ત્રણેય વડાઓએ મળીને શાંત અને આત્મવિશ્વાસપૂર્ણ નેતૃત્વ દર્શાવ્યું, જેણે દેશના લોકોમાં વિશ્વાસ જગાડ્યો કે તેઓ સુરક્ષિત હાથમાં છે. તેમણે ખુલાસો કર્યો કે ભારતીય દળોએ સરહદની બહાર 100 કિલોમીટર સુધી દુશ્મનોને નિશાન બનાવ્યા અને વ્યૂહાત્મક ચોકસાઈ સાથે જોખમને ન્યૂનતમ રાખ્યું.
કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા જનરલ દ્વિવેદીએ કહ્યું કે ભારતનું ભવિષ્ય ‘જનરેશન ઝેડ’ના હાથમાં છે. આ પેઢી તકનીકી રીતે સક્ષમ છે, સામાજિક રીતે સભાન છે અને વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે છે. તેમણે કહ્યું કે શિસ્ત અને દિશા સાથે આ પેઢી ભારતને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે. જનરલ દ્વિવેદીએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં રાજકીય સ્પષ્ટતા, સૈન્ય સ્વતંત્રતા અને ત્રણેય સેનાઓની એકતાએ ‘ઓપરેશન સિંદૂર’ને ભારતના સંરક્ષણ ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય બનાવ્યો.

