BCCIએ શનિવારે ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ બીસીસીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી મીડિયા રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે ઐયરની ઉપલબ્ધતા બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની પરવાનગી મેળવવા પર નિર્ભર રહેશે. જ્યારે જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવ્યો છે. જોકે, BCCIએ પણ હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને અપડેટ આપી છે. બોર્ડે કહ્યું છે કે હાર્દિક ODI મેચમાં 10 ઓવર નાખવા માટે સંપૂર્ણ રીતે ફિટ નથી.
આગામી T20 વર્લ્ડ કપ અને તેના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. બીસીસીઆઈની મીડિયા રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે હાર્દિકને મેચમાં 10 ઓવર નાખવા માટે CoE તરફથી પરવાનગી મળી નથી, તેથી આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેના વર્કલોડનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
BCCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “BCCI COEએ હાર્દિક પંડ્યાને મેચમાં 10 ઓવર નાખવાની મંજૂરી આપી નથી અને આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેના વર્કલોડને નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે.”
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શનિવારે વિજય હજારે ટ્રોફીની એલિટ ગ્રુપ બી મેચમાં વિદર્ભ સામે 92 બોલમાં 11 સિક્સરની મદદથી 133 રનની તોફાની સદી ફટકારી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ વડોદરામાં રમાશે. આ પછી 14મી જાન્યુઆરીએ રાજકોટમાં અને 18મી જાન્યુઆરીએ ઈન્દોરમાં મેચ રમાશે. ODI શ્રેણી બાદ, ભારત ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી પણ રમશે, જે 21 જાન્યુઆરીથી નાગપુરમાં શરૂ થશે. ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે અને તે જ ટીમ આગામી ટી-20 વર્લ્ડ કપમાં પણ રમશે.

