અફઘાનિસ્તાને 2026ના T20 વર્લ્ડ કપનો શાનદાર વિજય સાથે અંત કર્યો. ગુરુવારે એમ ચિદમ્બરમ મેદાન પર રમાયેલી ટૂર્નામેન્ટની 39મી મેચમાં અફઘાનિસ્તાને કેનેડાને 82 રને હરાવ્યું હતું. આ જીત સાથે અફઘાનિસ્તાને ટીમના મુખ્ય કોચ જોનાથન ટ્રોટને પણ વિદાય આપી હતી. કેપ્ટન રાશિદ ખાને મેચ બાદ કહ્યું કે ટ્રોટે અફઘાનિસ્તાન ક્રિકેટ માટે ઘણું કર્યું છે અને ટીમથી અલગ થવું એ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. કેનેડા સામેની જીત બાદ રાશિદે કોચની ખૂબ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ‘જોનાથન ટ્રોટ સાથે છેલ્લા ચાર કે સાડા ચાર વર્ષની આ સફર અદ્ભુત રહી છે. તેણે અફઘાનિસ્તાન ક્રિકેટ માટે ઘણું કર્યું. તેણે ટીમને આ સ્થાન સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટ્રોટને ટીમમાંથી આ રીતે અલગ થતા જોવું એ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે, પરંતુ જીવન આવું જ છે. તમે ક્યારેય કાયમ સાથે રહી શકતા નથી. અમે તેમને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ અને તેમને ફરીથી મળવાની આશા રાખીએ છીએ. ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાનની સફર અંગે રાશિદે કહ્યું, ‘અમે પૂરી તૈયારી સાથે આવ્યા હતા અને અમે ટૂર્નામેન્ટમાં શાનદાર ક્રિકેટ રમ્યું હતું. મારા મતે સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં મળેલી હારથી અમને બેકફૂટ પર ધકેલી દીધા અને અમને સૌથી વધુ નુકસાન થયું. અમે જાણતા હતા કે વર્લ્ડ કપમાં અમારા ભાગ્યને નિયંત્રિત કરવા માટે અમારે પ્રથમ બેમાંથી એક મેચ જીતવી પડશે. જો કે, આ રીતે ટુર્નામેન્ટ કામ કરે છે. રશીદે આગળ કહ્યું, ‘આ ટૂર્નામેન્ટમાંથી અમારા માટે ઘણી સકારાત્મક બાબતો હતી, જેની સાથે અમે આગળ વધવા અને આગામી ICC ઈવેન્ટમાં મજબૂત રીતે કમબેક કરવા ઈચ્છીએ છીએ. જો કે, એવી કેટલીક બાબતો છે જેને આપણે સુધારવાની જરૂર છે. ખાસ કરીને મોટી ટીમો સામે અમારા મધ્યમ ક્રમના બેટ્સમેનોનું પ્રદર્શન અને છેલ્લી ઓવરોમાં બોલિંગ. ગ્રુપ સ્ટેજમાં રમાયેલી 4 મેચોમાંથી અફઘાનિસ્તાને 2માં જીત મેળવી હતી, જ્યારે ટીમને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

