પૂર્વ નેપાળમાં લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. પૂર્વી નેપાળના ખોટાંગ જિલ્લામાં એક ખેતરમાં ઉતરતી વખતે એર ડાયનેસ્ટીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, અધિકારીઓએ પુષ્ટિ કરી છે.
ખોટાંગ જિલ્લાના મુખ્ય જિલ્લા અધિકારી રેખા કંડેલે ફોન પર સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, “હેલિકોપ્ટર ખેતરમાં ઉતરતી વખતે ક્રેશ થયું હતું. તે એક શબ લઈને આવ્યું હતું અને તે કાઠમંડુથી આવ્યું હતું. કોઈ જાનહાનિના સમાચાર નથી. હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.”
કંપનીના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટર પાંચ મુસાફરોને લઈને જિલ્લા માટે રવાના થયું હતું. નોંધણી નંબર 9N-ASQ ધરાવતું આ હેલિકોપ્ટર સવારે 11:51 વાગ્યે ખોટાંગમાં જમીન પર ક્રેશ થયું હતું.
હેલિકોપ્ટર કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “હેલિકોપ્ટરમાં સવાર એક મુસાફરને ઈજા થઈ છે. પાઈલટ અને અન્ય મુસાફરોને કોઈ ઈજા નથી થઈ. ઈજાગ્રસ્ત મુસાફરને બચાવવા માટે રજીસ્ટ્રેશન નંબર 9N-ANA સાથેનું અન્ય હેલિકોપ્ટર પણ રવાના કરવામાં આવ્યું છે,” હેલિકોપ્ટર કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. પ્રારંભિક તપાસ અનુસાર, હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન એકઠી થયેલી ધૂળ કે જોરદાર પવનને કારણે ક્રેશ થયું હોઈ શકે છે.
આ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિની ઓળખ કાઝી બહાદુર રાય તરીકે થઈ છે. પાઈલટ સબીન થાપા સહિત અન્ય મુસાફરો અને ક્રૂ – સુરક્ષિત રીતે બચી ગયા હતા. કંપનીએ કહ્યું કે કોલ સાઈન 9N-ANA સાથે અન્ય હેલિકોપ્ટરને બચાવ કામગીરી માટે સ્થળ પર મોકલવામાં આવ્યું છે. કંપનીના મેનેજર બાલ કૃષ્ણ પંડિતે જણાવ્યું હતું કે, “લેન્ડિંગ સમયે પવનની ઝડપ ઘણી વધારે હતી અને ધૂળ પણ હતી. આના કારણે વિઝિબિલિટી પર અસર થઈ હશે અને સંતુલન બગડ્યું હશે. ટેકનિકલ તપાસ બાદ જ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે.”

