દક્ષિણ આફ્રિકાએ બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. કોલકાતા ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની જીત કે ભારતની હાર કરતાં ઈડન ગાર્ડનની પિચની વધુ ચર્ચા થઈ છે. ભારત સહિત વિશ્વભરના તમામ ભૂતપૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો પીચની ટીકા કરી રહ્યા છે. બીજી તરફ ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર શરમજનક હાર બાદ પણ પીચ પર ખુશ છે. તેઓ કહી રહ્યા છે કે પીચ અમે માંગ કરી હતી તે પ્રમાણે જ બનાવવામાં આવી છે. અમે ફક્ત રમી શક્યા નહીં. આ દરમિયાન ભારતના ઓપનર ક્રિસ શ્રીકાંતે પણ પીચની ટીકા કરી છે. તેણે કહ્યું કે જો તેણે આવી પીચ પર બે વખત બોલિંગ કરી હોત તો તેને પણ વિકેટ મળી હોત.
કોલકાતા ટેસ્ટ માત્ર અઢી દિવસમાં ખતમ થઈ ગઈ. મેચની ચાર ઇનિંગ્સમાંથી કોઇપણ ટીમ 200 રનનો આંકડો પણ સ્પર્શી શકી નથી. ભારતમાં આ પહેલા કોઈ ટેસ્ટ મેચમાં આવું બન્યું નથી. ભારતને જીતવા માટે 124 રનનો ટાર્ગેટ હતો પરંતુ ભારતીય ટીમનો સ્કોર ત્રણ આંકડા સુધી પહોંચી શક્યો નહોતો અને 30 રનથી ટેસ્ટ હારી ગઈ હતી. મેચ બાદ પીચને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે.
ભૂતપૂર્વ મુખ્ય રાષ્ટ્રીય પસંદગીકાર શ્રીકાંતે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘વિકેટ ખૂબ જ ખરાબ હતી. ગંભીરે મેચ બાદ કહ્યું હતું કે વિકેટમાં કોઈ શૈતાન નથી, પરંતુ જુઓ, તે ડરામણી પીચ હતી. આ ટેસ્ટ મેચની વિકેટ બિલકુલ ન હતી. જો મેચ અઢી દિવસમાં સમાપ્ત થાય છે, તો તે સ્પષ્ટ છે કે વિકેટમાં કંઈક ગરબડ છે.
તેણે આગળ કહ્યું, ‘આવી ટર્નિંગ પિચો પર ભારત બેકફૂટ પર છે. સ્કોર જુઓ. 159, 189,153, 93 રન. તે સ્પષ્ટ છે કે વિકેટમાં કંઈક ગરબડ હતી… જો મેં આ સપાટી પર બોલિંગ કરી હોત તો પણ હું વિકેટ લઈ શક્યો હોત.

