મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે મહુમાં ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીના ચાન્સેલર જવાદ અહેમદ સિદ્દીકીના પૈતૃક મકાનના કથિત ગેરકાયદે બાંધકામને તોડી પાડવા અંગે કેન્ટોનમેન્ટ બોર્ડની નોટિસના અમલીકરણ પર વચગાળાનો સ્ટે મૂકી દીધો છે. મકાનની માલિકીનો દાવો કરતી વ્યક્તિની અરજી પર કોર્ટે ઉપરોક્ત આદેશ જારી કર્યો હતો. અરજદારે હિબાનામા (ઈસ્લામિક પરંપરા મુજબ વ્યક્તિના નામે મિલકત ગિફ્ટ કરવી) દ્વારા ઘરની માલિકીનો દાવો કર્યો છે.
પિતા કાઝી રહી ચૂક્યા છે
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અલ ફલાહ યુનિવર્સિટીના ચાન્સેલર જવાદ અહેમદ સિદ્દીકી મૂળ મહુના રહેવાસી છે. તેમના પિતા હમ્મદ અહેમદ લાંબા સમયથી મહુ શહેરના કાઝી હતા. વર્ષો પહેલા તેમનું અવસાન થયું હતું.
મિલકત પિતાના નામે છે
જો અધિકારીઓનું માનીએ તો, ઇન્દોરથી લગભગ 30 કિલોમીટર દૂર મહુની કેન્ટોનમેન્ટ કાઉન્સિલના રેકોર્ડમાં, મુકેરી વિસ્તારનું ઘર નંબર 1371 જવાદ અહેમદ સિદ્દીકીના સ્વર્ગસ્થ પિતા હમ્માદ અહેમદના નામે નોંધાયેલું છે.
ડિમોલિશનની નોટિસ આપવામાં આવી હતી
કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા 19 નવેમ્બરના રોજ આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે આ મકાનનું કથિત ગેરકાયદે બાંધકામ 3 દિવસમાં દૂર કરવામાં આવે, અન્યથા કાઉન્સિલ કાનૂની જોગવાઈઓ હેઠળ આ બાંધકામ તોડી પાડશે અને આ કાર્યવાહીની કિંમત મકાનના કબજેદાર અથવા મિલકતના માલિકના કાયદેસરના વારસદારો પાસેથી વસૂલ કરશે. નોંધનીય છે કે, તાજેતરમાં બુલડોઝર વડે ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
હિબા હેઠળ મિલકત આપવાનો દાવો
મહુમાં આ મકાનમાં રહેતા અબ્દુલ મજીદે (59) કેન્ટોન્મેન્ટ બોર્ડની નોટિસને પડકારતી મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અરજી કરી છે. માજિદે અરજીમાં કહ્યું છે કે તેના પિતા હમ્મદ અહેમદના મૃત્યુ પછી, આ સંપત્તિ તેને જવાદ અહેમદ સિદ્દીકીએ વર્ષ 2021માં ‘હિબા’ હેઠળ આપી હતી.

