બાંગ્લાદેશના ઉત્તર-પશ્ચિમ જિલ્લા રંગપુર અને પશ્ચિમ જિલ્લા કુશ્તિયામાં શનિવારે ભારે હિંસા અને તણાવની જાણ થઈ હતી. મુસ્લિમ આધ્યાત્મિક નેતાની હત્યાથી ગુસ્સે ભરાયેલા ટોળાએ રંગપુરમાં લઘુમતી હિન્દુ સમુદાયના ઘરો અને દુકાનોને નિશાન બનાવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, મૃતકના સંબંધીઓ હિંદુઓની સંડોવણીનો ઇનકાર કરતા હોવા છતાં, ટોળાએ આ સમુદાય પર હુમલો કર્યો. પોલીસ તેને મુખ્ય કેસ પરથી ધ્યાન હટાવવાનું સુનિયોજિત કાવતરું ગણાવી રહી છે.
ઢાકાથી લગભગ 300 કિલોમીટર દૂર રંગપુરના દાસપારા બજાર વિસ્તારમાં શનિવારે મુસ્લિમ આધ્યાત્મિક નેતા રકીબ હસનની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પ્રારંભિક તપાસ મુજબ, જૂની દુશ્મનાવટના કારણે હસનની હત્યા ડ્રગ સ્મગલર મોહમ્મદ મોમિને કથિત રીતે કરી હતી.
જોકે, હત્યાના કલાકોમાં જ વિસ્તારમાં કોમી તંગદિલી ફેલાઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ દાસપરા માર્કેટમાં આવેલા હિન્દુઓના ઘરો અને દુકાનો પર હુમલો કર્યો હતો. સ્થાનિક અખબાર ‘પ્રથમ આલો’ અનુસાર, આ વિસ્તારમાં હિન્દુ સમુદાયના સોથી વધુ પરિવારો રહે છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે હુમલાખોરોએ તોડફોડ તેમજ લૂંટનો પ્રયાસ કર્યો હતો.
ધ્યાન ભટકાવવા માટે હુમલા
રંગપુરના પોલીસ કમિશનર મોહમ્મદ મજીદ અલીએ મીડિયાને જણાવ્યું કે પોલીસ સાચા હત્યારાઓને શોધી રહી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે હિંદુ સમુદાય વિરૂદ્ધ હિંસા એ રકીબ હસનની હત્યાના કેસ પરથી પોલીસનું ધ્યાન હટાવવા માટે ત્રીજા પક્ષનું કાવતરું હતું. “અમે હિંદુ ઘરો અને દુકાનોમાં તોડફોડ કરનારાઓની ઓળખ કરી લીધી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે,” તેમણે કહ્યું.
સૌથી ચોંકાવનારી વાત એ હતી કે મૃતક રકીબની માતા નૂરજહાં બેગમે પોતે નિવેદન આપ્યું હતું કે આ હત્યામાં હિન્દુ સમુદાયની કોઈ ભૂમિકા નથી. તેમણે પત્રકારોને કહ્યું, “અમારો હિંદુઓ સાથે કોઈ વિવાદ નથી. અમે ફક્ત અમારા પુત્રના સાચા હત્યારાઓની ધરપકડ ઈચ્છીએ છીએ.”

