શુક્રવારે વહેલી સવારે આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના ચિન્ના ટેકુરુ ગામમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકો જીવતા દાઝી ગયા હોવાની પુષ્ટિ થઈ છે. આ આંકડો હજુ વધી શકે છે. આ ઘટના ત્યારે બની જ્યારે હૈદરાબાદ-બેંગલુરુ હાઈવે પર કાવેરી ટ્રાવેલ્સની ખાનગી બસ એક બાઇક સાથે અથડાઈ હતી, જેના પગલે બસમાં આગ લાગી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ થોડી જ મિનિટોમાં આગની લપેટમાં આવી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં 44 મુસાફરો સવાર હતા. 12 મુસાફરો કોઈ રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે બાકીના બસની અંદર ફસાયા હતા.
ફાયર અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત કાર્યમાં લાગેલી છે, પરંતુ હાલમાં મૃતકોની સંખ્યા સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી.
કાવેરી ટ્રાવેલ્સની બસ હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહી હતી ત્યારે આ ઘટના સવારે 3.30 વાગ્યે બની હતી. કુર્નૂલ શહેરની બહાર નેશનલ હાઈવે 44 પર એક મોટરસાઈકલ સાથે અથડાઈ. “ટુ-વ્હીલર બસની નીચે ફસાઈ ગયું અને ઈંધણની ટાંકી સાથે અથડાયું, જેના કારણે ત્વરિત વિસ્ફોટ થયો અને આગ ઝડપથી સમગ્ર વાહનમાં ફેલાઈ ગઈ,” પોલીસે જણાવ્યું હતું.
દુર્ઘટના સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. કેટલાક મુસાફરો અચાનક આગને કારણે જાગી ગયા હતા અને બારીઓ તોડીને બહાર કૂદવામાં સફળ થયા હતા, પરંતુ ઘણા લોકો અંદર ફસાયા હતા કારણ કે આગ થોડી મિનિટોમાં જ આખી બસને લપેટમાં લીધી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જાય તે પહેલા મદદ માટે ચીસો સંભળાઈ હતી. ફાયર બ્રિગેડ આવે તે પહેલા સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય અને રાહત કાર્યમાં ઝડપ લાવવા સૂચના આપી છે.

