એશિયા કપ 2025ની ફાઈનલ બાદ વિવાદ શરૂ થયો હતો, જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા મોહસિન નકવીએ વિજેતા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટ્રોફી આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સૂર્યકુમારે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. અહેવાલો અનુસાર, સૂર્યકુમારે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી ન હતી કારણ કે નકવી પાકિસ્તાનના ગૃહ પ્રધાન પણ છે અને ભારતમાં આતંકવાદને સમર્થન આપવામાં તેમની ભૂમિકા પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આના પર નકવીએ કહ્યું કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ હોવાના નાતે તેમને જ ટ્રોફી આપવાનો અધિકાર છે.
મોહસીન નકવીએ પાછળથી 10 નવેમ્બરે દુબઈમાં એક સમારોહમાં BCCIને ટ્રોફી પ્રાપ્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ BCCIએ તેને ઠુકરાવી દીધો હતો. તેના બદલે ભારતીય બોર્ડે ICC બોર્ડ મીટિંગ દરમિયાન આખો મુદ્દો ઔપચારિક રીતે ઉઠાવ્યો હતો.
આ બેઠકમાં પાકિસ્તાન ક્રિકેટના વડા મોહસિન નકવીએ પણ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘વાતચીત દરમિયાન કોઈ કડવાશ જોવા મળી નથી. ICC બોર્ડે માન્યતા આપી હતી કે ભારત અને પાકિસ્તાન બંને ક્રિકેટ જગતના મહત્વપૂર્ણ સભ્યો છે અને બંનેએ પોતાના મતભેદોને ઉકેલવા જોઈએ. પાકિસ્તાનની સેનેટની મહત્વની બેઠક મોકૂફ રહેતાં નકવીની દુબઈ મુલાકાત છેલ્લી ઘડીએ નક્કી કરવામાં આવી હતી. સેનેટ તે દિવસે દેશના બંધારણમાં એક મહત્વપૂર્ણ સુધારો પસાર કરવાની હતી.
હવે આ સમગ્ર મધ્યસ્થીની જવાબદારી બંને દેશો સાથે સારા સંબંધો માટે જાણીતા પંકજ ખીમજીને સોંપવામાં આવી છે. ICCને આશા છે કે તેમના નેતૃત્વમાં આ વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ જશે.

