ઈરાન વિરોધ: ઈરાને વિરોધીઓ સામે તેની ધમકીઓ વધારી અને એટર્ની જનરલ મોહમ્મદ મોવાહેદી આઝાદે ચેતવણી આપી કે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર કોઈપણને અલ્લાહનો દુશ્મન માનવામાં આવશે, જે મૃત્યુની સજાને પાત્ર ગુનો છે. એટર્ની જનરલની ટિપ્પણીઓ ઈરાનના સરકારી ટેલિવિઝન દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી.
આ પહેલા ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખમેની અને અન્ય અધિકારીઓએ સંકેત આપ્યા હતા કે ઈરાન દમનકારી કાર્યવાહી શરૂ કરવા જઈ રહ્યું છે. લગભગ બે અઠવાડિયાથી ચાલી રહેલા આ પ્રદર્શનો તાજેતરના દિવસોમાં વધુ ઉગ્ર બન્યા છે. શનિવારે ઈરાનમાં ઈન્ટરનેટ અને ટેલિફોન સેવાઓ પરના નિયંત્રણો વચ્ચે વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા અને દેશનો બાકીના વિશ્વ સાથેનો સંપર્ક લગભગ બંધ થઈ ગયો છે.
પ્રતિબંધોને કારણે ત્યાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વિશે સચોટ માહિતી મેળવવી મુશ્કેલ બની ગઈ છે. પરંતુ યુએસ સ્થિત ન્યૂઝ એજન્સી ‘હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ’ના જણાવ્યા અનુસાર, આ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 65 લોકોના મોત થયા છે અને 2,300થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીએ યુએસ ચેતવણીઓ છતાં દેખાવકારો પર કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ શનિવારે ‘X’ પર લખ્યું, “અમેરિકા ઈરાનના બહાદુર લોકોનું સમર્થન કરે છે.” યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક અલગ ચેતવણી જારી કરીને કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે રમત ન રમો, જ્યારે તે કંઈક કહે છે, ત્યારે તે કરે છે.”

