લુધિયાણા:પંજાબના લુધિયાણામાં પોલીસે આતંકવાદીઓનો સામનો કર્યો છે. આ એન્કાઉન્ટર દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર લાડોવાલ ટોલ પ્લાઝા પાસે થયું હતું. અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જેમાંથી એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ આ આતંકીઓ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના ટેરર મોડ્યુલ સાથે જોડાયેલા હતા. હાલ તપાસ ચાલી રહી છે. પોલીસે સ્થળ પરથી 2 હેન્ડ ગ્રેનેડ, 4 પિસ્તોલ અને 50થી વધુ કારતૂસ જપ્ત કર્યા છે. લુધિયાણા એન્કાઉન્ટરને લઈને વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
પોલીસ કમિશનર સ્વપન શર્માએ જણાવ્યું કે, આ કાર્યવાહી ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, “અમે એક દિવસ પહેલા એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને હેન્ડ ગ્રેનેડ સાથે ત્રણ શકમંદોની ધરપકડ કરી હતી. તેમની કડક પૂછપરછ બાદ અમને માહિતી મળી હતી કે BKIના વધુ બે ખતરનાક આતંકવાદીઓ લુધિયાણા વિસ્તારમાં સક્રિય છે અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના નિર્દેશ પર કોઈ મોટો ગુનો કરવાની યોજના બનાવી રહ્યા છે.”
આ માહિતીના આધારે લુધિયાણા પોલીસ અને પંજાબ પોલીસના સ્પેશિયલ સેલે સંયુક્ત રીતે લાડોવાલ ટોલ પ્લાઝા પાસે ઘેરાબંધી કરી હતી. પોલીસે આતંકવાદીઓના વાહનને રોકવાનો સંકેત આપતા જ તેમાં બેઠેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં બંને આતંકીઓ ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. એન્કાઉન્ટર બાદ સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, “પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને કાબૂમાં લેવામાં આ એક મોટી સફળતા છે. બંને ઘાયલ આતંકવાદીઓ ISI સમર્થિત BKI મોડ્યુલનો ભાગ હતા. અમારી ટીમો સતત એલર્ટ પર છે અને રાજ્યમાં શાંતિ ભંગ કરવાના કોઈપણ કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવશે.”

