શુભમન ગિલ પણ ગરદનની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની આગામી ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી બહાર થઈ જશે. બીસીસીઆઈના સૂત્રોએ શનિવારે આ જાણકારી આપી. આ શ્રેણી 30 નવેમ્બરથી શરૂ થશે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને સિનિયર બેટ્સમેન કેએલ રાહુલને કેપ્ટન્સી માટે વિચારવામાં આવી શકે છે જ્યારે સિનિયર બેટ્સમેન રોહિત શર્મા પણ ટીમમાં છે.
બીસીસીઆઈના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ગિલની ઈજા માત્ર ગરદનમાં થયેલી ઈજા નથી. તેને આરામની જરૂર પડશે અને ભારતીય ટીમ મેનેજમેન્ટ તેના પરત ફરવાની ઉતાવળ કરશે નહીં. કોલકાતામાં પ્રથમ ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે ગિલને ગરદનમાં દુખાવો થયો હતો. ઈજાના કારણે તે ગુવાહાટી ટેસ્ટ રમી શક્યો નહોતો. તે હાલમાં મુંબઈમાં છે જ્યાં તેના એમઆરઆઈ સહિતના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
“સ્નાયુ અથવા પેશીઓમાં ઇજા છે કે કેમ તે જોવા માટે પરીક્ષણો હાથ ધરવામાં આવી રહ્યા છે,” સૂત્રએ જણાવ્યું હતું. હાલમાં, પસંદગીકારોને આશા છે કે તે દક્ષિણ આફ્રિકા સામે T20 રમી શકશે. પંત કેપ્ટનશિપ માટે પ્રબળ દાવેદાર છે, જે બીજી ટેસ્ટમાં પણ કેપ્ટનશિપ કરી રહ્યો છે. જો કે છેલ્લા એક વર્ષમાં તે માત્ર એક જ વનડે રમ્યો છે. રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.
અભિષેક શર્મા રિઝર્વ ઓપનિંગ બેટ્સમેન બની શકે છે. હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. ઈજાથી પરેશાન હાર્દિક પંડ્યા આવતા વર્ષે વર્લ્ડ કપ સુધી માત્ર ટી-20 રમશે. કુલદીપ યાદવ અંગત કારણોસર બ્રેક લઈ શકે છે. આવી સ્થિતિમાં સ્પિનની જવાબદારી અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને વોશિંગ્ટન સુંદર પર રહેશે.

