પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે સ્વીકાર્યું છે કે ભારતે 10 મેની સવારે નૂર ખાન એરબેઝ પર હુમલો કર્યો હતો. બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલા સશસ્ત્ર સંઘર્ષના 8 મહિના બાદ પાકિસ્તાને આ પહેલીવાર સ્વીકાર્યું છે. ડારે કહ્યું કે ઈસ્લામાબાદે મેના સંઘર્ષ દરમિયાન પાકિસ્તાન અને ભારત વચ્ચે મધ્યસ્થી માટે કોઈ માગણી કરી ન હતી, પરંતુ દાવો કર્યો હતો કે યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો અને સાઉદી વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને નવી દિલ્હી સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી હતી.
ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ પહેલગામ હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો, જેમાં 26 નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલાઓને કારણે બંને દેશો વચ્ચે ચાર દિવસની તીવ્ર લડાઈ થઈ, જે 10 મેના રોજ લશ્કરી કાર્યવાહી બંધ કરવાના કરાર સાથે સમાપ્ત થઈ. વિદેશ મંત્રીનો કાર્યભાર સંભાળનાર ઈશાક ડારે કહ્યું કે, ‘ભારતે લોન્ચ કરેલા 80માંથી 79 ડ્રોનને 36 કલાકની અંદર અટકાવવામાં આવ્યા હતા. આ પછી ભારતે 10 મેના રોજ સવારે નૂરખાન એરબેઝ પર હુમલો કર્યો, જેના કારણે પાકિસ્તાને વળતો જવાબ આપ્યો.
અમેરિકન વિદેશ મંત્રીએ વહેલી સવારે ફોન કર્યો
ઈશ્કા ડારે કહ્યું કે 10 મેના રોજ યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ સવારે લગભગ 8:17 વાગ્યે તેને ફોન કર્યો હતો. તેમણે માહિતી આપી કે ભારત યુદ્ધવિરામ માટે તૈયાર છે અને પૂછ્યું કે શું પાકિસ્તાન સહમત થશે. આના પર મેં કહ્યું કે અમે ક્યારેય યુદ્ધ ઇચ્છતા નથી. તેણે વધુમાં કહ્યું કે સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલે બાદમાં તેમનો સંપર્ક કર્યો અને ભારત સાથે વાત કરવાની પરવાનગી માંગી. બાદમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે યુદ્ધવિરામ પર સહમતિ બની છે. પાકિસ્તાની મંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે 7 મેના હવાઈ યુદ્ધમાં પાકિસ્તાને 7 ભારતીય જેટને તોડી પાડ્યા હતા, પરંતુ આના સમર્થન માટે કોઈ પુરાવા આપ્યા નથી. તેમણે પાકિસ્તાનની સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો કે આ ક્ષેત્રમાં કાયમી શાંતિ જમ્મુ અને કાશ્મીર વિવાદના ઉકેલ સાથે જોડાયેલી છે.

