ઈન્ડિયા પોસ્ટ 24 કલાક ગેરંટીડ ડિલિવરી ઓફર કરશે:ડિજિટલ અને ઝડપી સેવાઓના આ યુગમાં, જ્યારે ખાનગી કુરિયર કંપનીઓ તેમની ઝડપ અને વિશ્વસનીયતા માટે જાણીતી છે, ત્યારે હવે ‘ઈન્ડિયા પોસ્ટ’ પણ એ જ કતારમાં ઊભી થવા જઈ રહી છે. દેશની સૌથી જૂની ટપાલ સેવા હવે નવા સ્વરૂપમાં ઉભરી આવશે, જ્યાં પત્રો અને પાર્સલ ખાતરીપૂર્વકના સમય સાથે પહોંચાડવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે ઈન્ડિયા પોસ્ટ જાન્યુઆરી 2026 થી બે નવી ગેરંટી સેવાઓ શરૂ કરશે – 24 કલાક અને 48 કલાકમાં સ્પીડ પોસ્ટ ડિલિવરી. હવે ગ્રાહકોને ત્રણથી પાંચ દિવસ સુધી રાહ જોવી પડશે નહીં. સિંધિયાએ કહ્યું, ‘અમે એવી સેવાઓ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનાથી દેશમાં પોસ્ટલ ડિલિવરીની વ્યાખ્યા બદલાઈ જશે. 24-કલાક સેવા હેઠળ, મેઇલ 24 કલાકની અંદર અને 48-કલાકની સેવામાં, બે દિવસમાં વિતરિત કરવામાં આવશે.
ઈન્ડિયા પોસ્ટ માત્ર મેઈલ જ નહીં પરંતુ પાર્સલ સેવાને પણ અપગ્રેડ કરવા જઈ રહી છે. હવે ‘નેક્સ્ટ-ડે પાર્સલ સર્વિસ’ની સુવિધા પણ ઉપલબ્ધ થશે, જેમાં ગ્રાહકને બીજા દિવસે પાર્સલ પહોંચાડવામાં આવશે. આ પહેલ ઈ-કોમર્સ કંપનીઓ માટે પણ એક મોટો આધાર માનવામાં આવી રહી છે. આ પગલું ઇન્ડિયા પોસ્ટને એમેઝોન અને બ્લુ ડાર્ટ જેવી ખાનગી લોજિસ્ટિક્સ કંપનીઓ સાથે સ્પર્ધામાં મૂકી શકે છે.
સિંધિયાએ સ્પષ્ટપણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય 2029 સુધીમાં ઈન્ડિયા પોસ્ટને ખોટ કરતી સંસ્થામાંથી નફાકારક સંસ્થામાં પરિવર્તિત કરવાનો છે. આ માટે ઈનોવેશન, ડિજિટલાઈઝેશન અને ઉત્તમ સેવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, ‘હવે સમય આવી ગયો છે કે ટપાલ વિભાગને માત્ર ખર્ચ કેન્દ્ર તરીકે નહીં, પરંતુ નફાના કેન્દ્ર તરીકે જોવામાં આવે.’
સરકારની આ પહેલ દેશના વિશાળ પોસ્ટલ નેટવર્કને પુનર્જીવિત કરવાનો પ્રયાસ છે. 1.5 લાખથી વધુ પોસ્ટ ઓફિસના આ નેટવર્કને હવે ટેક્નોલોજી, સમયબદ્ધતા અને ગ્રાહક સંતોષના આધારે ફરીથી ડિઝાઇન કરવામાં આવશે. નિષ્ણાતો માને છે કે આ ફેરફાર માત્ર ઈન્ડિયા પોસ્ટને સ્પર્ધાત્મક બનાવશે નહીં, પરંતુ ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચેના ડિલિવરી ગેપને પણ દૂર કરશે.

