ઈઝરાયેલની સંસદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત ગાઝા શાંતિ પહેલને સમર્થન આપે છે અને આ સમજૂતી આ ક્ષેત્રમાં ન્યાયી અને કાયમી શાંતિની આશા આપે છે. તેમણે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની પણ નિંદા કરી હતી. આ અગાઉ, બુધવારે, ઇઝરાયેલની બે દિવસીય રાજ્ય મુલાકાત માટે તેલ અવીવ પહોંચ્યાના થોડા કલાકો પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇઝરાયેલની સંસદ (નેસેટ) માં સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. તેઓ ઈઝરાયેલની સંસદને સંબોધન કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. ભારતીય નેતા તરીકેના તેમના 10 વર્ષના કાર્યકાળમાં વડાપ્રધાનની આ બીજી ઈઝરાયેલ મુલાકાત છે. પીએમ મોદીએ છેલ્લે 2017માં ઈઝરાયેલની મુલાકાત લીધી હતી.
ઇઝરાયેલની સંસદને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. ટૂંક સમયમાં જ આપણે વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જઈશું. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે અન્ય દેશો સાથે ઘણા મહત્વપૂર્ણ વેપાર કરારો કર્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અમારી ટીમો એક મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાટાઘાટો કરવા માટે સખત મહેનત કરી રહી છે.
પીએમએ વધુમાં કહ્યું કે, યહૂદી સમુદાય ભારતમાં કોઈપણ પ્રકારના જુલમ કે ભેદભાવ વગર રહે છે. તેઓએ પોતાનો ધર્મ સાચવ્યો છે અને સમાજમાં સંપૂર્ણ રીતે ભાગ લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે કોઈ કારણ સામાન્ય લોકોની હત્યાને યોગ્ય ઠેરવી શકે નહીં. આતંકવાદને કોઈ પણ વસ્તુ ન્યાયી ઠેરવી શકે નહીં. ભારત પણ લાંબા સમયથી આતંકવાદની પીડા સહન કરી રહ્યું છે. 26/11ના મુંબઈ હુમલામાં ઈઝરાયેલના નાગરિકો સહિત નિર્દોષ લોકોના મોતને અમે યાદ કરીએ છીએ. તમારી જેમ અમારી પણ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ છે, જેમાં કોઈ બેવડા ધોરણો નથી.
ઇઝરાયેલની સંસદને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે યુએન સુરક્ષા પરિષદ દ્વારા મંજૂર કરાયેલ ગાઝા શાંતિ પહેલ એક રસ્તો બતાવે છે. ભારતે આ પહેલ માટે પોતાનું મજબૂત સમર્થન વ્યક્ત કર્યું છે. અમે માનીએ છીએ કે તે પેલેસ્ટાઈન મુદ્દાના ઉકેલ સહિત પ્રદેશના તમામ લોકો માટે ન્યાયી અને કાયમી શાંતિનું વચન ધરાવે છે. આપણા તમામ પ્રયાસો શાણપણ, હિંમત અને માનવતા પર આધારિત હોવા જોઈએ. શાંતિનો માર્ગ હંમેશા સરળ નથી હોતો, પરંતુ આ ક્ષેત્રમાં સંવાદ, શાંતિ અને સ્થિરતા માટે ભારત તમારી અને વિશ્વની સાથે ઊભું છે.

