અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું છે કે ભારતે રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભારતે પુનરોચ્ચાર કર્યાના દિવસો બાદ આ નિવેદન આવ્યું છે કે ક્રૂડ ઓઇલની પ્રાપ્તિ અંગે નવી દિલ્હીના નિર્ણયો માટે રાષ્ટ્રીય હિત ‘માર્ગદર્શક પરિબળ’ હશે અને ઊર્જા નીતિના મુખ્ય સ્તંભો પર્યાપ્ત ઉપલબ્ધતા, વાજબી કિંમત અને પુરવઠાની વિશ્વસનીયતા છે.
નવી દિલ્હી સાથે વેપાર કરારની જાહેરાત કરતી વખતે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારથી, અમેરિકાએ ઘણી વખત દાવો કર્યો છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. શનિવારે મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં બોલતા રૂબિયોએ કહ્યું કે ભારત સાથેની અમારી વાતચીતમાં અમને તેમની પ્રતિબદ્ધતા મળી છે કે તેઓ વધારાના રશિયન તેલ ખરીદવાનું બંધ કરશે. રૂબિયો રશિયા-યુક્રેન યુદ્ધ અને મોસ્કો પર લાદવામાં આવેલા પ્રતિબંધો સંબંધિત એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.
શું કહ્યું ભારતના વિદેશ મંત્રીએ
તે જ સમયે, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે ભારત તેની ‘વ્યૂહાત્મક સ્વાયત્તતા’ની નીતિ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને દેશની ઊર્જા ખરીદી કિંમત, જોખમ અને ઉપલબ્ધતા જેવા પરિબળો દ્વારા નક્કી કરવામાં આવશે. જયશંકરે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે અમેરિકાએ દાવો કર્યો છે કે ભારત રશિયન ક્રૂડ ઓઈલની આયાત રોકવા માટે રાજી થઈ ગયું છે. મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં જર્મન વિદેશ પ્રધાન જોહાન વેડફુલ સાથેના ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન, જયશંકરે જણાવ્યું હતું કે વૈશ્વિક ઊર્જા બજાર ‘જટિલ’ છે અને ભારતીય તેલ કંપનીઓ તેમના શ્રેષ્ઠ હિતમાં લાગે તેવા નિર્ણયો લેશે.

