CIAના ભૂતપૂર્વ અધિકારી રિચર્ડ બાર્લોએ દાવો કર્યો છે કે ઈસ્લામાબાદની પરમાણુ મહત્વકાંક્ષાઓને રોકવા માટે ભારત અને ઈઝરાયેલ દ્વારા 1980ના દાયકાની શરૂઆતમાં પાકિસ્તાનના કહુટા પરમાણુ પ્લાન્ટ પર હવાઈ હુમલા કરવાની પ્રસ્તાવિત યોજના ઘણી સમસ્યાઓ હલ કરી શકી હોત. તેમણે તત્કાલીન ભારત સરકાર દ્વારા આ અભિયાનને નકારવાને શરમજનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે શરમજનક બાબત છે કે ઈન્દિરા ગાંધીએ તેને મંજૂરી આપી ન હતી.
ન્યૂઝ એજન્સી ‘ANI’ સાથેની એક મુલાકાત દરમિયાન, 1980ના દાયકામાં પાકિસ્તાનની અપ્રગટ પરમાણુ પ્રવૃત્તિઓ દરમિયાન અમેરિકી ગુપ્તચર એજન્સીમાં કાઉન્ટર-પ્રોલિફરેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા ભૂતપૂર્વ CIA સભ્ય બાર્લોએ પુષ્ટિ કરી કે તેણે ગુપ્તચર વર્તુળોમાં કથિત યોજના વિશે સાંભળ્યું હતું, પરંતુ તે સીધો સંડોવાયેલો ન હતો કારણ કે તે દરમિયાન તે સરકારી નોકરીમાંથી બહાર હતો.
બાર્લોએ કહ્યું, “હું 1982 થી 1985 સુધી સરકારની બહાર હતો. અને મને લાગે છે કે જ્યારે હું સરકારમાંથી બહાર હતો ત્યારે આવું થયું હોવું જોઈએ. મેં તેના વિશે ક્યારેક સાંભળ્યું હતું. પરંતુ હું તેમાં સંપૂર્ણ રીતે સામેલ ન થયો કારણ કે તે ક્યારેય બન્યું નથી.” તેમણે વધુમાં કહ્યું કે, “તે શરમજનક છે કે ઈન્દિરા ગાંધીએ તેને મંજૂરી ન આપી, તેનાથી ઘણી સમસ્યાઓ હલ થઈ ગઈ હોત.”
સાર્વજનિક કરાયેલા અહેવાલો અને વિગતો અનુસાર, ઇઝરાયેલ અને ભારતે પાકિસ્તાનના કહુટા યુરેનિયમ સંવર્ધન પ્લાન્ટ – તેના પરમાણુ કાર્યક્રમનું કેન્દ્ર – પર પ્રી-એમ્પ્ટિવ એર સ્ટ્રાઇકની કથિત યોજના બનાવી હતી જેથી ઇસ્લામાબાદને પરમાણુ શસ્ત્રોના વિકાસ અને પ્રસારથી અટકાવવામાં આવે. બાર્લોએ સૂચવ્યું કે તત્કાલિન પ્રમુખ રોનાલ્ડ રીગનની આગેવાની હેઠળના યુએસ વહીવટીતંત્રે આવા કોઈપણ હુમલાનો સખત વિરોધ કર્યો હતો, ખાસ કરીને ઈઝરાયેલ દ્વારા, કારણ કે તે અફઘાનિસ્તાનમાં સોવિયેત યુનિયન સામે અમેરિકાના અપ્રગટ યુદ્ધના પ્રયાસને અવરોધી શકે છે.

