મધ્યાહન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભાતમાં જંતુઓ જોવા મળ્યા હતા. હવે આ ઘટના સંદર્ભે સરકારી અનુદાનિત શાળાના આચાર્યને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ ઘટના 9 ડિસેમ્બરે કોપ્પલ તાલુકાના બિસરલ્લી ગામની એક શાળામાં બની હતી. જો કે, સત્તાધીશોના સમયસર હસ્તક્ષેપને કારણે, કોઈ વિદ્યાર્થીએ ચેપની ફરિયાદ કરી ન હતી અને ન તો કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી.
શિક્ષણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ મામલો પ્રકાશમાં આવતાની સાથે જ આચાર્યને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી અને તેમની પાસેથી ઘટના અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. “અમે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને અમે બે દિવસમાં પ્રિન્સિપાલ પાસેથી રિપોર્ટની અપેક્ષા રાખીએ છીએ,” અધિકારીએ કહ્યું. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પણ પગલાં લેવામાં આવશે.
ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં આવશે
વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ફૂડ હેલ્થ ઓફિસરને યોગ્ય સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાભરની સરકારી અને અનુદાનિત શાળાઓમાં પૂરા પાડવામાં આવતા અનાજના નમૂનાઓ ગુણવત્તા ચકાસણી માટે એકત્ર કરવા જણાવાયું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે વિવિધ શાળાઓના મુખ્ય શિક્ષકો સાથે બેઠકો પણ કરી રહ્યા છીએ, તેમને અનાજનું નિયમિત નિરીક્ષણ કરવા અને ઉચ્ચ ગુણવત્તાવાળા અનાજનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે જાગૃતિ લાવવાની સૂચના આપીએ છીએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.”

