જમ્મુ અને કાશ્મીરના કટરા સ્થિત શ્રી માતા વૈષ્ણો દેવી મેડિકલ કોલેજ (SMVDIME) ના MBBS કોર્સની માન્યતા રદ કરવાના સમાચાર હેડલાઇન્સમાં છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) ના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (MARB) એ લઘુત્તમ ધોરણોનું પાલન ન કરવા બદલ શ્રી માતા વૈષ્ણોદેવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એક્સેલન્સને આપવામાં આવેલ પરવાનગી પત્ર પાછો ખેંચી લીધો છે. આ નિર્ણયથી ત્યાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનો આરોપ છે કે આ નિર્ણય રાજકારણથી પ્રભાવિત છે. “વિદ્યાર્થીઓ કહે છે કે તેમની સાથે આવું કેવી રીતે થઈ શકે?”
મંગળવારે, NMCએ માન્યતા રદ કરી અને બીજા દિવસે એટલે કે બુધવાર (7 જાન્યુઆરી) કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓને હાલ માટે તેમના ઘરે પાછા ફરવા કહ્યું. જેના કારણે સમગ્ર કેમ્પસમાં નિરાશા અને રોષનું વાતાવરણ છે. આ કોલેજમાં ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રકચર હોવા છતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનો વિદ્યાર્થીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે.
સરકારી મેડિકલ કોલેજો કરતાં વધુ સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા એક વિદ્યાર્થીએ કહ્યું, “ઓપરેશન થિયેટરથી લઈને લાઈબ્રેરી સુધી, અમારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જમ્મુ અને કાશ્મીરની ઘણી સરકારી મેડિકલ કોલેજો કરતા વધુ સારું છે. આ નિર્ણય કેમ્પસની બહારના રાજકારણનું પરિણામ છે.” વિદ્યાર્થીઓ અને શિક્ષકો શ્રી માતા વૈષ્ણો દેવી સંઘર્ષ સમિતિ તરફ ઈશારો કરી રહ્યા હતા, જે આરએસએસ અને ભાજપ સાથે સંકળાયેલા લગભગ 60 સંગઠનોનું જૂથ હોવાનું કહેવાય છે. આ સમિતિ કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થીઓના પ્રવેશનો વિરોધ કરી રહી હતી.
હકીકતમાં, કોલેજના પ્રથમ MBBS બેચના 50 વિદ્યાર્થીઓમાંથી 44 મુસ્લિમ છે. સમિતિએ કહ્યું કે વૈષ્ણો દેવી મંદિરમાં હિન્દુ ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા પ્રસાદ સાથે કોલેજની સ્થાપના કરવામાં આવી હતી, તેથી કાશ્મીરના મુસ્લિમ વિદ્યાર્થીઓને અહીંથી હટાવી દેવા જોઈએ. બાદમાં કમિટીએ કોલેજને જ બંધ કરવાની માંગણી શરૂ કરી હતી.

