21 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ પણ પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા સફળ થઈ શકી નથી. બંને દેશો ઘણા મુદ્દાઓ પર સહમત ન થઈ શક્યા, જેના કારણે અમેરિકન અને ઈરાનના પ્રતિનિધિમંડળ પોતપોતાના દેશો પરત ફર્યા. ઈરાને દાવો કર્યો છે કે વાતચીત દરમિયાન ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુનો ફોન આવ્યો અને વાતચીત અધવચ્ચે પાટા પરથી ઉતરી ગઈ. મોટો દાવો કરતા ઈરાને સમગ્ર બેઠકની અંદરની વાત જણાવી છે.
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ કહ્યું, “જ્યારે મીટિંગ દરમિયાન વેન્સને નેતન્યાહુનો ફોન આવ્યો, ત્યારે વાતચીતનું ફોકસ યુએસ-ઈરાન વાટાઘાટો પરથી ઈઝરાયેલના હિત પર કેન્દ્રિત થઈ ગયું.” તેમણે વધુમાં કહ્યું, “અમેરિકાએ વાટાઘાટોના ટેબલ પર તે હાંસલ કરવાનો પ્રયાસ કર્યો જે તે યુદ્ધ દ્વારા હાંસલ કરી શક્યું ન હતું.” તેમણે કહ્યું કે ઈરાને સદ્ભાવનાથી પાકિસ્તાનમાં વાટાઘાટોમાં ભાગ લીધો હતો અને કહ્યું હતું કે તેમના જવા પહેલા વેન્સની પ્રેસ કોન્ફરન્સ બિનજરૂરી હતી. તેમણે કહ્યું કે ઈરાન પોતાના દેશના હિત અને સાર્વભૌમત્વની રક્ષા માટે પ્રતિબદ્ધ અને તૈયાર છે. વોશિંગ્ટને નેતન્યાહુના કોલને સમર્થન કે નકાર્યું નથી.
ઈરાને કહ્યું કે લગભગ 21 કલાકની વાટાઘાટો દરમિયાન તેની વાટાઘાટ કરનાર ટીમે વિવિધ રાજકીય અને સૈન્ય ક્ષેત્રો તેમજ શાંતિપૂર્ણ પરમાણુ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઈરાનના લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરતી વખતે તેની ‘આત્યંતિક માંગણીઓ’ પૂરી કરવાથી અમેરિકાને અટકાવ્યું. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે જણાવ્યું હતું કે ઈરાને ભવિષ્ય લક્ષી અનેક પહેલો આગળ ધપાવી હતી, ત્યારે અમેરિકા આખરે ઈરાની પક્ષનો ‘વિશ્વાસ જીતવામાં’ નિષ્ફળ રહ્યું હતું. ગાલિબાફે સોશિયલ મીડિયા પર લખ્યું, “મેં મંત્રણા પહેલા જ ભાર મૂક્યો હતો કે અમારી પાસે જરૂરી સદ્ભાવના અને ઇરાદા છે પરંતુ છેલ્લા બે યુદ્ધોના અનુભવોને કારણે, અમે બીજી બાજુ પર વિશ્વાસ કરતા નથી.”

