ક્રિકેટ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરીઝ ખતમ થયા બાદ 30 નવેમ્બરથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થશે.આ સીરીઝમાં ભારતીય ટીમની કમાન કેએલ રાહુલના હાથમાં રહેશે, કારણ કે નિયમિત કેપ્ટન શુભમન ગિલ ઈજાના કારણે બહાર છે. રાહુલ ઘણી વખત વનડેમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી ચૂક્યો છે અને હવે તેના બે સૌથી મોટા દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાનમાં ઉતરશે. ખાસ કરીને વિરાટ કોહલી માટે આ સિરીઝ કોઈ ગિફ્ટથી ઓછી નથી, કારણ કે જ્યારે પણ કેએલ રાહુલ કેપ્ટન બન્યો છે ત્યારે વિરાટના બેટમાં આગ લાગતી જોવા મળી છે.
રાહુલની કેપ્ટનશીપમાં વિરાટનો રેકોર્ડ
વિરાટ કોહલીએ કેએલ રાહુલની કપ્તાનીમાં અત્યાર સુધી 4 વનડે મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 57.25ની એવરેજથી 229 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 2 અડધી સદી સામેલ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ 4 મેચોમાંથી 3 માત્ર દક્ષિણ આફ્રિકા સામે જ હતી. રાહુલની કપ્તાની હેઠળ, પ્રોટીઝ ટીમ સામે, વિરાટે બે અડધી સદી ફટકારીને કુલ 116 રન બનાવ્યા હતા. એટલે કે દક્ષિણ આફ્રિકા સામે જ્યારે કેએલ રાહુલ કેપ્ટન છે ત્યારે કોહલીનું બેટ વધુ ખતરનાક બની જાય છે.
30 નવેમ્બરથી શરૂ થનારી આ સિરીઝમાં ફરી એકવાર આ જ જોડી જોવા મળશે, કેપ્ટન કેએલ અને તેના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન વિરાટ, જો જૂના રેકોર્ડનું પુનરાવર્તન થશે તો દક્ષિણ આફ્રિકન બોલરો મુશ્કેલીમાં મુકાશે તે નિશ્ચિત છે. આ સીરીઝની પ્રથમ મેચ JSCA ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, રાંચીમાં રમાશે. ટીમ ઈન્ડિયા 3 વર્ષ બાદ આ મેદાન પર દક્ષિણ આફ્રિકા સામે વનડે મેચ રમશે. ગત વખતે ભારતીય ટીમે મહેમાન ટીમને 7 વિકેટે હરાવ્યું હતું.
મહિનાઓ પછી ડોમેસ્ટિક વનડે રમશે
વિરાટ કોહલીએ ટેસ્ટ અને T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જેના કારણે તે હવે માત્ર ODI મેચ જ રમે છે. ટીમ ઈન્ડિયા લગભગ 9 મહિના પછી ઘરઆંગણે વનડે મેચ રમવા જઈ રહી છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી પણ લાંબી રાહ બાદ ટીમ ઈન્ડિયાની જર્સીમાં ઘરઆંગણે રમતા જોવા મળશે. તે છેલ્લે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે સિરીઝ રમતા જોવા મળ્યો હતો.

