કુર્નૂલ બસમાં આગ: આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં હૈદરાબાદ-બેંગલુરુ હાઈવે પર શુક્રવારે સવારે એક બસમાં આગ લાગી હતી, જેના કારણે લગભગ 25 લોકોના મોતની આશંકા છે. આ એક ખાનગી સ્લીપર બસ છે, જેમાં 42 મુસાફરો સવાર હતા. ચિન્નાટેકુર ગામ નજીકથી પસાર થતી વખતે આ બસ અચાનક એક મોટરસાઈકલ સાથે અથડાઈ હતી, ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ હતી. થોડી જ મિનિટોમાં આગ આખી બસમાં ફેલાઈ ગઈ અને ઘણા મુસાફરો અંદર ફસાઈ ગયા.
અકસ્માતની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે હવે આગ ફરી ન બને તે માટે કૂલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 15 ઘાયલ મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
દુર્ઘટના સમયે ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બસના બળી ગયેલા કાટમાળમાંથી લગભગ 25 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ જ મૃત્યુનો ચોક્કસ આંકડો જાણી શકાશે. આ બસ કલેશ્વરમ ટ્રાવેલ્સ નામની ખાનગી કંપનીની હતી. પોલીસે જણાવ્યું કે અકસ્માત સમયે બસમાં ડ્રાઈવર અને ક્લીનર સહિત 42 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડું દુઃખ અને આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ વચન આપ્યું હતું કે સરકાર ઘાયલો અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ કરશે.
નાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું
મુખ્યમંત્રીએ ઘટના અંગે માહિતી મેળવવા માટે સરકારી અધિકારીઓ સાથે વાત કરી છે અને વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર જવાનો નિર્દેશ આપ્યો છે. પીડિતોને તમામ તબીબી અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે તેવો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અને YSRCP નેતા વાય.એસ. જગન મોહન રેડ્ડીએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ અકસ્માત હૃદયદ્રાવક છે.

