ઉત્તર-મધ્ય નાઇજીરીયામાં ખાણમાંથી ઝેરી ગેસ લીક થવાથી ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા છે અને 26 અન્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ પ્રવક્તા આલ્ફ્રેડ અલાબોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે વહેલી સવારે પ્લેટુ રાજ્યના વાસે વિસ્તારમાં કમ્પાની જુરાક સમુદાયમાં બની હતી.
તેમણે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખાણિયાઓ લીડ ઓક્સાઇડ અને સલ્ફર અને કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓના અચાનક લિકેજના સંપર્કમાં આવ્યા હતા, જે માનવો માટે અત્યંત ઝેરી અને જોખમી છે. ખાસ કરીને બંધ અથવા ખરાબ વેન્ટિલેટેડ વિસ્તારોમાં, આ વાયુઓની અસર જીવલેણ સાબિત થાય છે.
અલાબોએ વધુમાં જણાવ્યું કે મૃતકોના મૃતદેહને ધાર્મિક વિધિ મુજબ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. હાલમાં, નાઈજિરિયન સરકારે ખાણકામની જગ્યાને સીલ કરી દીધી છે અને લીકના કારણની તપાસ ચાલુ છે. સોલિડ મિનરલ્સ ડેવલપમેન્ટ મિનિસ્ટર ડેલે અલાકેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખાણકામ કરનારાઓ ખાણકામ દરમિયાન ઝેરી ગેસના ઉત્સર્જનથી અજાણ હતા અને તેમનું કામ ચાલુ રાખ્યું હતું, જેના કારણે અકસ્માત થયો હતો.
હાલ વહીવટીતંત્ર આ મામલે તપાસ કરી રહ્યું છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે તે સ્થળે કયું ખનીજ ખનન કરવામાં આવી રહ્યું હતું અને ખાણ કાયદેસર રીતે ચલાવવામાં આવી હતી કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. નાઇજિરિયન સરકાર દેશભરમાં સોના અને અન્ય ખનિજોના ગેરકાયદેસર ખાણકામ પર કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી રહી છે, જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં સેંકડો લોકોના જીવ લીધા છે.

