સાઉદી અરેબિયાના અલ-ખર્જ શહેરમાં રવિવારે એક રહેણાંક વિસ્તાર પર મિસાઇલ પડતાં બે લોકોનાં મોત થયાં હતાં અને 12 લોકો ઘાયલ થયાં હતાં. સાઉદી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ ડિફેન્સે આ ઘટનાની પુષ્ટિ કરી છે. મૃતકોમાં એક ભારતીય નાગરિક અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે, જ્યારે ઘાયલ થયેલા તમામ 12 લોકો બાંગ્લાદેશી રહેવાસી હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો એક મેન્ટેનન્સ અને ક્લિનિંગ કંપનીના રહેણાંક પરિસરમાં થયો હતો, જ્યાં ઘણું નુકસાન પણ થયું હતું.
સિવિલ ડિફેન્સના સત્તાવાર પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં ભારતીય અને બાંગ્લાદેશી નાગરિકતાના બે લોકોના મોત થયા છે અને 12 બાંગ્લાદેશી ઘાયલ થયા છે. જોકે, અધિકારીઓએ હજુ સુધી મૃતકોના નામ અને ઓળખ જાહેર કરી નથી. ગલ્ફ દેશો પર ઈરાન દ્વારા મિસાઈલ હુમલાના અહેવાલો સાથે મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે આ ઘટના બની છે.
ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જારી કરી છે
મધ્ય પૂર્વમાં વધી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને રિયાધમાં ભારતીય દૂતાવાસે સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય નાગરિકોને સાવધાની રાખવાની સલાહ આપી છે. દૂતાવાસે એડવાઈઝરીમાં કહ્યું છે કે તમામ ભારતીય નાગરિકોએ સતર્ક રહેવું જોઈએ, સાઉદી અરેબિયાની સુરક્ષા માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને સ્થાનિક સત્તાવાળાઓ અને દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ.

