મુંબઈઃ થાણે જિલ્લાના અંબરનાથ સ્થિત આનંદનગર MIDCમાં આવેલી ત્રણ કેમિકલ કંપનીઓમાં સોમવારે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. આ અંગેની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
અંબરનાથ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આજે બપોરે આનંદનગર MIDC સ્થિત ગણેશ કેમિકલ નામની કંપનીમાં આગ લાગી હતી. આ પછી મિરેકલ કેબલ અને ક્લાઉડ નાઈન નામની નજીકની બે કંપનીઓને પણ આગએ લપેટમાં લીધી હતી. આગની જાણ થતાં જ દિવસનો સમય હોવાથી કંપનીમાં કામ કરતા લોકો સલામત સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનામાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

