પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની વિધાનસભા સીટ ભવાનીપુરમાં ડ્રાફ્ટ વોટર લિસ્ટમાંથી લગભગ 45 હજાર મતદારોના નામ હટાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ગુસ્સે છે. હવે ટીએમસીએ પોતે ચૂંટણી પંચ દ્વારા રજૂ કરાયેલા ડેટાની તપાસ કરવાની જવાબદારી લીધી છે. માહિતી અનુસાર, પાર્ટી નેતૃત્વએ નિર્ણય લીધો છે કે પાર્ટી બૂથ લેવલ એજન્ટ (BLA) સાથે ઘરે-ઘરે જઈને દૂર કરાયેલા મતદારોના નામની ફરીથી તપાસ કરશે.
TMC દ્વારા મંગળવારે ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રના સ્થાનિક નેતાઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, નેતૃત્વએ સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈપણ વાસ્તવિક મતદારનું નામ કોઈ પણ સંજોગોમાં ડિલીટ ન કરવું જોઈએ અને ડિલીટ કરાયેલા દરેક નામની ફિઝિકલ વેરિફિકેશન જરૂરી છે.
ચૂંટણી પંચના ડેટા મુજબ અગાઉ, જાન્યુઆરી 2025 સુધી ભવાનીપુરમાં કુલ 2,06,295 મતદારો હતા. હવે નવી બહાર પડેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં માત્ર 1,61,509 નામ નોંધાયા છે, એટલે કે 44,787 મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે, જે કુલ મતદારોના 21.7 ટકા જેટલા છે.
નોંધનીય છે કે ભવાનીપુર વિધાનસભા મતવિસ્તાર કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 63, 70, 71, 72, 73, 74, 77 અને 82નો બનેલો છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર વોર્ડ 70, 72 અને 77માં સૌથી વધુ નામો કપાયા છે. ખાસ કરીને લઘુમતી વસ્તી ધરાવતા વોર્ડ 77 પર ખાસ નજર રાખવા સૂચના આપવામાં આવી છે. ભવાનીપુર એક ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, જ્યાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના લોકો પણ મોટી સંખ્યામાં રહે છે. આવી સ્થિતિમાં પાર્ટીએ મોટી સંખ્યામાં નામો હટાવવા પર સવાલો ઉભા કર્યા છે.

