અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પાકિસ્તાન વચેટિયાની ભૂમિકા ભજવી રહ્યું છે, જેથી આ સંઘર્ષનો જલદીથી અંત આવે. બીજી તરફ પશ્ચિમ એશિયામાં આ સંઘર્ષની પાકિસ્તાની અર્થવ્યવસ્થા પર પણ ગંભીર અસર પડી રહી છે. સ્થાનિક અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં ઈંધણની કિંમતો આસમાને પહોંચી રહી છે, જેના કારણે સરકાર કેટલાક પેટ્રોલિયમ ઉત્પાદનો પરના ભાવ નિયંત્રણો દૂર કરવા (અનફ્રીઝ) કરવા ગંભીરતાથી વિચારી રહી છે. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે તેમનો દેશ ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિપૂર્ણ મંત્રણાની યજમાની કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે લખ્યું કે બંને પક્ષોની સંમતિથી પાકિસ્તાન સન્માન સાથે આયોજન કરવા અને અર્થપૂર્ણ અને નિર્ણાયક મંત્રણાની સુવિધા આપવા તૈયાર છે.
વાસ્તવમાં આખી દુનિયા બંને દેશો અને અમેરિકા સમર્થિત ઈઝરાયેલ વચ્ચેના તણાવમાં ઘટાડો થવાના સંકેતો જોઈ રહી છે, પરંતુ પાકિસ્તાન માટે આ યુદ્ધનો જલ્દી અંત આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વરિષ્ઠ પાકિસ્તાની પત્રકાર શમ્સ કેરિયોએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ચેતવણી આપી હતી કે જો ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીત ફળદાયી નહીં હોય તો પેટ્રોલના ભાવ વધુ વધશે, જેનાથી ભારે આર્થિક નુકસાન થશે અને ગરીબો ‘જમવા માટે પણ અસમર્થ’ થઈ જશે.
વાતચીતમાં કેરિયોએ વધુમાં જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રની હાલત ખૂબ જ ખરાબ છે. ડીએપી કે યુરિયા ખરીદવું મુશ્કેલ બન્યું છે. ન ઘઉં, ન કપાસ, ન શેરડી… પેટ્રોલના ભાવને કારણે ગરીબી વધશે અને પાકિસ્તાનની એવી ખરાબ પરિસ્થિતિ થશે કે તેને સાજા થતા 50 વર્ષ લાગી શકે છે.
શું પાકિસ્તાન ઈંધણના ભાવને સ્થિર કરશે?
સ્થાનિક અખબાર ‘ડોન’ના અહેવાલ અનુસાર, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પાકિસ્તાનમાં કોઈપણ ઔપચારિક જાહેરાત વિના જેટ ફ્યુઅલ (JP-1) અને કેરોસીનની કિંમતો ઝડપથી વધી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જેટ ફ્યુઅલની કિંમત 84 રૂપિયા પ્રતિ લીટર વધી છે અને તે 388 રૂપિયાથી વધીને 472 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ વધારો 21 માર્ચથી અમલમાં આવ્યો છે. માર્ચની શરૂઆતથી જેટ ફ્યુઅલના ભાવમાં લગભગ 150 ટકાનો વધારો થયો છે.

