નવી દિલ્હી . દેશના કુખ્યાત નક્સલવાદી નેતા અને પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PLFI)ના વડા દિનેશ ગોપે હવે સુરક્ષા એજન્સીઓની કસ્ટડીમાં છે. ગોપના આતંકનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઝારખંડ સરકારે તેના પર 25 લાખનું ઈનામ રાખ્યું હતું અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેના પર 5 લાખનું ઈનામ રાખ્યું હતું.
છેલ્લા 15 વર્ષથી, ભારતની એજન્સીઓ, પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) નક્સલવાદી નેતાને શોધી રહી હતી. ગોપ ઘણા વર્ષોથી ઝારખંડમાં નક્સલવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય હતો. નક્સલવાદી નેતા વિરુદ્ધ 100થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. PLFI ચીફ દિનેશ ગોપેની ધરપકડ ખરેખર સુરક્ષા એજન્સીઓ માટે મોટી સફળતા છે.
હાલ નક્સલીની પૂછપરછ ચાલી રહી છે. તે નેપાળમાં પણ ઘણા સમયથી છુપાયેલો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને આ ઓપરેશન હાથ ધર્યું છે. સૂત્રોને ટાંકીને માહિતી મળી છે કે ગોપ દેખાવ બદલીને નેપાળમાં છુપાયો હતો. તેણે શીખનો પોશાક પહેર્યો હતો અને તેણે પાઘડી પણ પહેરી હતી. સ્પેશિયલ સેલની કાઉન્ટર એજન્સીઓને ઘણા સમય પહેલા ઈનપુટ મળ્યા હતા કે દિનેશ નેપાળના કાઠમંડુમાં છુપાયેલો છે, ત્યારબાદ NIAના સહયોગથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.