રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ભારત હંમેશા પાકિસ્તાન સાથે શાંતિ ઈચ્છે છે, પરંતુ પાડોશી દેશ આ ઈચ્છતો નથી. ભાગવતે કહ્યું કે જ્યાં સુધી તેઓ (પાકિસ્તાન) ભારતને નુકસાન ન પહોંચાડે ત્યાં સુધી તેમને સંતોષ મળતો નથી.
બેંગલુરુમાં સંઘના 100 વર્ષ પૂરા થયાની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સરસંઘચાલક બોલ્યા. તેમણે કહ્યું, “જ્યાં સુધી પાકિસ્તાનને ભારતને નુકસાન પહોંચાડીને સંતોષ મળે છે, ત્યાં સુધી તે આમ કરતું રહેશે. આપણે વારંવાર તેમના પ્રયાસોનો જડબાતોડ જવાબ આપવો પડશે. ત્યારે જ તે સમજી શકશે કે ભારત સાથે યુદ્ધ તેના હિતમાં નથી.”
1971ના યુદ્ધનું ઉદાહરણ આપતા ભાગવતે કહ્યું કે તે સમયે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો, પરંતુ બદલામાં 90,000ની મોટી સેના ગુમાવી હતી. તેમણે કહ્યું, “પાકિસ્તાન પણ 1971થી પાઠ શીખી શકે છે. જો તે ભારતને નુકસાન પહોંચાડવાની કોશિશ ચાલુ રાખશે તો તેને જ નુકસાન થશે. પાકિસ્તાને સમજવું જોઈએ કે ભારત સાથે સ્પર્ધા કે લડાઈ કરવાને બદલે સહયોગથી કામ કરવું વધુ સારું છે, ભારતની નજીક આવવું વધુ સારું છે, નહીં તો તેને નુકસાન જ થશે.”
પાકિસ્તાનની જૂની આદત પર ભાર મૂકતા સંઘ પ્રમુખે કહ્યું કે, પરંતુ તેઓ આ ભાષા નથી સમજતા. તેમણે કહ્યું, “…પરંતુ પાકિસ્તાન શાંતિ અને સહયોગની ભાષા સમજી શકતું નથી. તેથી આપણે જે ભાષા સમજે છે તે બોલવી પડશે.”
ભાગવતે પાકિસ્તાન સામે તૈયાર રહેવાની ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું, “આપણે તેમના (પાકિસ્તાનના) વારંવારના પ્રયાસો માટે તૈયાર રહેવું જોઈએ અને તેમને જડબાતોડ જવાબ આપવો જોઈએ. દરેક વખતે આપણે તેમને કંઈક નુકસાન પહોંચાડવું જોઈએ જેથી તેઓ પસ્તાવો કરે. એક દિવસ પાકિસ્તાન સમજી જશે કે ભારત સાથે લડાઈ કરવાનો કોઈ ફાયદો નથી. અમે ઈચ્છીએ છીએ કે તેઓ આ સમજે અને અમારા શાંતિપૂર્ણ પડોશી બને જેથી તેઓ પણ પ્રગતિ કરી શકે.”

