પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં છેલ્લા 48 કલાકમાં ભારે હિંસા અને સૈન્ય સંઘર્ષના અહેવાલો છે. પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન હેરોફ’ના બીજા તબક્કામાં રાજ્યના 12 થી વધુ શહેરોમાં હુમલા કરવામાં આવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાની સેનાએ જોરદાર જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. શુક્રવારે રાત્રે શરૂ થયેલી હિંસાએ બલૂચિસ્તાનના ક્વેટા, ગ્વાદર, મકરાન, હબ, ચમન અને નુશ્કી જેવા મોટા શહેરોને ઘેરી લીધા છે. BLA આતંકવાદીઓએ પોલીસ ચોકીઓ, અર્ધલશ્કરી દળોની જગ્યાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું હતું.
પાકિસ્તાની અધિકારીઓ અને સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસમાં થયેલા સંઘર્ષમાં અત્યાર સુધીનું સૌથી વધુ નુકસાન નોંધાયું છે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ પુષ્ટિ કરી છે કે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 70 આતંકવાદીઓને ઠાર કર્યા છે. મંત્રી મોહસિન નકવીએ પુષ્ટિ કરી કે અથડામણમાં 10 પોલીસ અને ફ્રન્ટિયર કોર્પ્સ (એફસી) સૈનિકો શહીદ થયા છે. ગ્વાદર પાસે આતંકવાદીઓએ એક જ પરિવારના 5 સભ્યોની હત્યા કરી નાખી.
BLA એ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને દાવો કર્યો છે કે તેઓએ 14 શહેરોમાં 48 અલગ-અલગ જગ્યાએ હુમલા કર્યા છે. પ્રવક્તા જયંદ બલોચે દાવો કર્યો હતો કે તેઓએ નુશ્કીમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) હેડક્વાર્ટર પર કબજો કર્યો હતો અને 84 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા હતા. જોકે, પાકિસ્તાની સેનાએ આ દાવાઓને પ્રોપેગન્ડા ગણાવીને ફગાવી દીધા છે. આ વખતે BLAએ આત્મઘાતી બોમ્બર અને ‘માજીદ બ્રિગેડ’ની મહિલા લડવૈયાઓનો પણ ઉપયોગ કર્યો છે.
રેલ અને રોડ કનેક્ટિવિટી અટકી ગઈ
આતંકવાદીઓએ રાજ્યની જીવાદોરી ગણાતા માર્ગો અને રેલવેને ભારે નુકસાન પહોંચાડ્યું છે. નસીરાબાદ જિલ્લામાં રેલ્વે ટ્રેક પર મૂકવામાં આવેલા વિસ્ફોટકોને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં, પ્રાંતમાં ટ્રેન સેવાઓ સ્થગિત છે. ઘણી જગ્યાએ, આતંકવાદીઓએ હાઈવે બ્લોક કરી દીધા અને વાહનોની તલાશી લઈને બિન-બલૂચ લોકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો.
બલૂચિસ્તાનમાં વધી રહેલી હિંસા પાછળનું કારણ
એક સ્વતંત્ર થિંક ટેન્ક (CRSS)ના રિપોર્ટ અનુસાર, 2025માં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં 34%નો વધારો થયો છે. બલૂચિસ્તાનમાં આ ગુસ્સો મુખ્યત્વે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) અને સંસાધનોના શોષણ સામે છે.

