પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBએ સોમવારે 20 ઓક્ટોબરે એક મોટી જાહેરાત કરી છે. PCBએ વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને સુકાનીપદેથી હટાવી દીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રિઝવાન પાસેથી સુકાનીપદ છીનવીને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને સોંપી દીધું છે, જે અગાઉ T20 ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. શાહીન આફ્રિદી દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી સાથે ODIની કપ્તાની સંભાળશે. આ રીતે પાકિસ્તાન પાસે હવે ત્રણ ફોર્મેટમાં 3 અલગ-અલગ કેપ્ટન હશે. શાન મસૂદ ટેસ્ટમાં, સલમાન અલી આગા ટી-20માં અને શાહીન આફ્રિદી વન-ડેમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે.
રિઝવાન કોઈ ખાસ કમાલ બતાવી શક્યો ન હતો, કારણ કે તેના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઈનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યું હતું અને ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની શ્રેણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો અને ઘરઆંગણે ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું. વર્લ્ડ કપ 2023 બાદ તેને ODI ટીમની કેપ્ટનશીપ મળી.
મોહમ્મદ રિઝવાનની કપ્તાની હેઠળ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણી પણ જીતી હતી. ઑક્ટોબર 2024માં કેપ્ટન્સી સંભાળનાર રિઝવાનનું પ્રદર્શન પણ કેપ્ટન બન્યા બાદ સારું રહ્યું હતું. જો કે, મુખ્ય પસંદગીકાર આકિબ જાવેદ અને મુખ્ય કોચ માઇક હેસનને લાગે છે કે હવે રિઝવાનથી આગળ જોવાનો સમય આવી ગયો છે. પિંડી ટેસ્ટના પહેલા દિવસે નવા ODI કેપ્ટનની જાહેરાત કરવામાં આવી હતી. જો કે પીસીબીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે શા માટે રિઝવાનને સુકાનીપદેથી દૂર કરવામાં આવ્યો છે.
PCBની પ્રેસ રિલીઝમાં મોહમ્મદ રિઝવાનનો કોઈ ઉલ્લેખ નથી, માત્ર શાહીન આફ્રિદીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. “પસંદગી સમિતિની બેઠકમાં, જેમાં પાકિસ્તાનના મર્યાદિત ઓવરોના મુખ્ય કોચ માઈક હેસન પણ સામેલ હતા, તે નક્કી કરવામાં આવ્યું હતું કે શાહીન દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાનની ODI ટીમનું નેતૃત્વ કરશે,” PCBએ તેની રજૂઆતમાં જણાવ્યું હતું. શાહીનને ટી20 શ્રેણી માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે 1-4થી હારી ગયું હતું.

