કુર્નૂલ બસ દુર્ઘટના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લામાં બસ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રીએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.
વડા પ્રધાન મોદીએ વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) તરફથી નાણાકીય સહાયની પણ જાહેરાત કરી હતી. મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 આપવાનું વચન આપવામાં આવ્યું છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલી એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલા અકસ્માતમાં જાન-માલના નુકસાનથી ખૂબ જ દુઃખી છું. મારા વિચારો આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.
કલ્લુર મંડલના ચિન્નાટેકુર ગામ પાસે શુક્રવારે સવારે 3:30 વાગ્યે આ દુ:ખદ ઘટના બની હતી, જ્યારે કાવેરી ટ્રાવેલ્સની ખાનગી બસમાં આગ લાગી હતી. પોલીસ અહેવાલો અનુસાર, બસ હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહી હતી અને તેમાં 44 મુસાફરો સવાર હતા. દુર્ઘટના સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા.
કુર્નૂલ નજીક હાઇવે પર બસ એક મોટરસાઇકલ સાથે અથડાયા બાદ આ અકસ્માત સર્જાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટુ-વ્હીલર બસની નીચે ફસાઈ ગયું અને ફ્યુઅલ ટાંકી સાથે અથડાયું, જેના કારણે જોરદાર વિસ્ફોટ અને આગ લાગી. થોડી જ ક્ષણોમાં આગ આખી બસમાં ફેલાઈ ગઈ હતી અને ઘણા મુસાફરો અંદર ફસાઈ ગયા હતા.
ઘટનાસ્થળેથી મળેલી તસ્વીરોમાં બસ રોડની વચ્ચે આગની લપેટમાં સપડાયેલી જોવા મળી હતી. ફાયરમેન અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘણા મુસાફરોને બચાવવામાં સફળ રહ્યા હતા. જો કે, આગ કાબૂમાં આવી ત્યાં સુધીમાં બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.

