ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા કહ્યું કે 2023માં રમાયેલા ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હ્રદયદ્રાવક હાર બાદ તેણે નિવૃત્તિ લેવાનું વિચાર્યું હતું. તેને લાગ્યું કે ‘આ રમતે તેની પાસેથી બધું છીનવી લીધું છે.’ આ આઘાતમાંથી બહાર આવતા તેને ઘણો સમય લાગ્યો હતો.
હોમ ગ્રાઉન્ડ પર રમાયેલા આ ODI વર્લ્ડ કપમાં ભારતે રોહિતની કપ્તાનીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે સતત નવ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી પરંતુ આ મહત્વપૂર્ણ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી જે અંતમાં નિર્ણાયક સાબિત થઈ હતી.
રોહિતે માસ્ટર્સ યુનિયન ઈવેન્ટ દરમિયાન કહ્યું, ‘ઓડીઆઈ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પછી હું સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો હતો. મને લાગ્યું કે હું હવે આ રમત રમવા માંગતો નથી કારણ કે તેણે મારાથી બધું છીનવી લીધું છે અને મને લાગ્યું કે મારી પાસે કંઈ જ બચ્યું નથી.
તેણે કહ્યું, ‘મને તેમાંથી બહાર આવવામાં થોડો સમય લાગ્યો. હું મારી જાતને વારંવાર યાદ અપાવતો રહ્યો કે આ મને ખરેખર ગમે છે. આ વસ્તુ મારી પાસે છે અને હું તેને આટલી સરળતાથી છોડી શકતો નથી. ધીરે ધીરે હું તેમાંથી સાજો થયો. મેં મારી ખોવાયેલી ઉર્જા પાછી મેળવી લીધી અને ફરીથી મેદાન પર સક્રિય બન્યો.
રોહિતે કહ્યું, ‘તે હારથી દરેક નિરાશ થઈ ગયા હતા અને જે થયું તે અમે માનતા નહોતા. અંગત રીતે મારા માટે આ ઘણો મુશ્કેલ સમય હતો કારણ કે મેં તે વર્લ્ડ કપ માટે બધું જ આપી દીધું હતું. વર્લ્ડ કપના બે-ત્રણ મહિના પહેલા જ નહીં, પરંતુ 2022માં જ્યારથી મેં કેપ્ટનશીપ સંભાળી છે ત્યારથી હું તેની તૈયારી કરી રહ્યો હતો.

