પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડે નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’થી ભારે નારાજ છે. તેનું કહેવું છે કે આ શોથી તેની સાર્વજનિક છબીને ગંભીર નુકસાન થયું છે. આ કારણોસર તેણે આર્યન ખાન, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને નેટફ્લિક્સ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
‘જેમ કે હું ચોર છું?’
સુનાવણી દરમિયાન સમીર વાનખેડેએ કહ્યું, “આ શોએ લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે મારામાં કોઈ ઈમાનદારી નથી. જાણે હું ચોર હોઉં?” કમાલ આર ખાન (KRK)ના ટ્વીટને ટાંકીને તેના વકીલે કોર્ટને જણાવ્યું કે વેબ સિરીઝ રિલીઝ થયા બાદ સમીર વાનખેડે સતત ટ્રોલ અને ધમકીઓનો સામનો કરી રહ્યો છે. સમીર વાનખેડેનો આરોપ છે કે નેટફ્લિક્સ અને રેડ ચિલીઝએ સંયુક્ત રીતે આવી સામગ્રી બહાર પાડી છે, જેણે લોકોમાં ગેરસમજ ઊભી કરી છે.
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે 2021માં સમીર વાનખેડેએ આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી, જોકે આર્યન ખાનને પાછળથી તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હવે લોકો વેબ સિરીઝમાં બતાવવામાં આવેલા અધિકારીના પાત્રને વાનખેડે સાથે જોડી રહ્યા છે, જેના કારણે તેનો વિવાદ ફરી ચર્ચામાં છે.

