ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ODI ટીમના વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યર વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. BCCIએ 1 નવેમ્બર શનિવારના રોજ ઐયરની ઈજા અંગે ત્રીજું અપડેટ જાહેર કર્યું અને કહ્યું કે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે તે હજુ ભારત પરત નહીં ફરે. શ્રેયસ અય્યર હાલમાં વધુ પરીક્ષણો માટે સિડનીમાં રહેશે અને જો તે ઉડાન માટે યોગ્ય જણાય તો ભારત પરત ફરશે. ઑસ્ટ્રેલિયા સામે 25 ઑક્ટોબર 2025ના રોજ ત્રીજી ODI દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે શ્રેયસ ઐયરને પેટમાં ગંભીર ઈજા થઈ હતી.
BCCIએ રિલીઝમાં લખ્યું છે કે, 25 ઓક્ટોબર 2025ના રોજ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે શ્રેયસ અય્યરને પેટમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેને બરોળમાં ઈજા થઈ હતી અને આંતરિક રક્તસ્ત્રાવ શરૂ થયો હતો. ઈજાને તરત જ ઓળખવામાં આવી હતી અને નાના ઓપરેશન પછી આંતરિક રક્તસ્રાવ તરત જ બંધ થઈ ગયો હતો. આ માટે તેને યોગ્ય તબીબી સારવાર આપવામાં આવી છે.
હવે તેની તબિયત સ્થિર છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. સિડની અને ભારતના નિષ્ણાતો સાથે બીસીસીઆઈની મેડિકલ ટીમ તેમના સ્વસ્થ થવાથી ખુશ છે અને તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

