ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં શ્રેયસ અય્યરે શાનદાર અડધી સદી ફટકારી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન શુભમન ગિલ અને વિરાટ કોહલી 17 રનના સ્કોર પર આઉટ થયા હતા. તેના પછી આવેલા શ્રેયસ અય્યરે રોહિત શર્મા સાથે સદીની ભાગીદારી કરી અને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા હતા.
શ્રેયસ અય્યર અને રોહિત શર્મા વચ્ચે ત્રીજી વિકેટ માટે 118 રનની ભાગીદારી થઈ હતી. શર્મા 73 રન બનાવીને આઉટ થયો હતો. આ જોડી તૂટ્યા બાદ શ્રેયસ અય્યર પણ વધુ ચાલી શક્યો ન હતો અને સ્કોર બોર્ડમાં 25 વધુ રન ઉમેરાયા હતા જ્યારે તે પણ એડમ ઝમ્પાના બોલ પર સ્ટાર્કના હાથે કેચ આઉટ થયો હતો.
શ્રેયસ અય્યરે 77 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 79.22 હતો. ઓડીઆઈમાં ઐયરની આ 23મી અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ અર્ધસદી હતી. અય્યરે ઓસ્ટ્રેલિયા સામેની 14 વનડે મેચોમાં અત્યાર સુધીમાં 391 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે.
અય્યરની ODI કરિયરની વાત કરીએ તો અત્યાર સુધી તેણે 72 મેચની 67 ઇનિંગ્સમાં 47.81ની શાનદાર એવરેજથી 2917 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 23 અડધી સદી સામેલ છે.

