ભારતીય કપ્તાન શુભમન ગીલે સ્વીકાર્યું કે કેચ છોડ્યા અને પૂરતો સ્કોર ન કરી શકવાને કારણે તેની ટીમ ગુરુવારે ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી હારી ગઈ. ઑસ્ટ્રેલિયાએ એડિલેડમાં બીજી વનડેમાં તેમના ઓલરાઉન્ડ પ્રદર્શનથી બે વિકેટથી જીત મેળવીને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી હતી. પર્થમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતનો સાત વિકેટે પરાજય થયો હતો. ભારતીય ફિલ્ડરોએ 78 બોલમાં શાનદાર 74 રન બનાવનાર મેથ્યુ શોર્ટ સહિત ઓછામાં ઓછી ત્રણ તકો ગુમાવી હતી.
ભારતીય કેપ્ટન શુભમન ગિલે મેચ પછીના એવોર્ડ સમારોહમાં કહ્યું, “અમે યોગ્ય રન બનાવ્યા હતા. પરંતુ જ્યારે તમે આવા સ્કોરનો બચાવ કરતી વખતે કેટલીક તકો ગુમાવો છો, ત્યારે તે ક્યારેય સરળ નથી.” યુવા કેપ્ટનને પીચમાં પણ કોઈ ખામીઓ જોવા મળી નથી. તેણે કહ્યું, “પ્રથમ મેચમાં ટોસ વધુ મહત્વપૂર્ણ હતો કારણ કે વરસાદ પડ્યો હતો. પરંતુ આ મેચમાં બંને ટીમો લગભગ 50 ઓવર રમી હતી. શરૂઆતમાં વિકેટને લઈને થોડી મુશ્કેલી હતી પરંતુ 15-20 ઓવર પછી તે સારું થઈ ગયું.
સિનિયર બેટ્સમેન રોહિત શર્માની 73 રનની લડાયક ઇનિંગ્સની પ્રશંસા કરતા 26 વર્ષીય ગિલે કહ્યું, “લાંબા સમય પછી પુનરાગમન કરવું અને રમવું ક્યારેય સરળ નથી. શરૂઆતનો તબક્કો થોડો પડકારજનક હતો પરંતુ તેણે જે રીતે બેટિંગ કરી તેનાથી હું ઘણો ખુશ છું. તેણે સારી બેટિંગ કરી, હું કહીશ કે તે મોટી ઇનિંગ્સ ચૂકી ગયો.
મિશેલ માર્શની આગેવાની હેઠળના ઓસ્ટ્રેલિયાએ બંને વિભાગોમાં ઊંડાણ દર્શાવ્યું હતું. ઘરઆંગણાના કેપ્ટને તેમના બોલિંગ આક્રમણ અને યુવા બેટ્સમેનોના સંયમના વખાણ કર્યા. તેણે કહ્યું, “હેઝલવુડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમારા બોલિંગ યુનિટે વિકેટ લેવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. યુવાનોની બેટિંગ શાનદાર હતી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટનું ભાવિ ઉજ્જવળ છે. અમે શ્રેણી જીતનો સંપૂર્ણ આનંદ માણીશું. અમે આજે રાત્રે વધારે ઉજવણી નહીં કરીએ. ભારતીય ટીમ અનુભવી છે. લેગ સ્પિનર એડમ ઝમ્પાને ચાર વિકેટ લેવા બદલ ‘પ્લેયર ઑફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.

