ભારતીય કેપ્ટન શુભમન ગિલને ગુવાહાટીમાં શનિવારથી શરૂ થનારી દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ પહેલા શુક્રવારે ટેસ્ટ ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તે હવે તપાસ માટે મુંબઈ જશે. હવે તેના ODI અને T20 શ્રેણીમાં રમવાની અટકળો પણ શરૂ થઈ ગઈ છે.
કોલકાતામાં પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતી વખતે ગિલની ગરદન અકડાઈ ગઈ હતી જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ગીલની ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત બીજી ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક નિવેદનમાં કહ્યું, ‘ભારતીય કેપ્ટન શુભમન ગિલ, જે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, તે ગુવાહાટીમાં યોજાનારી બીજી ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં.’
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગિલને કોલકાતા ટેસ્ટના બીજા દિવસે ગરદનમાં ઈજા થઈ હતી અને દિવસની રમત પૂરી થયા બાદ તેને તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી. તેઓ 19 નવેમ્બરે ગુવાહાટી પહોંચ્યા હતા.
તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘દુર્ભાગ્યવશ તે બીજી ટેસ્ટ મેચ રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ નથી અને તેની ઈજાની તપાસ માટે તેણે મુંબઈ જવું પડશે.’

