ક્રિકેટ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી એક મોટું અપડેટ સામે આવ્યું છે. કેપ્ટન શુભમન ગિલ પણ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. પ્રથમ ટેસ્ટ દરમિયાન બેટિંગ કરતી વખતે તેને ગરદનમાં ઈજા થઈ હતી. આ પછી, તે પ્રથમ દાવમાં યોગ્ય રીતે બેટિંગ કરી શક્યો ન હતો અને રિટાયર્ડ હર્ટ થયો હતો અને પછી બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યો નહોતો. તેને તાત્કાલિક તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. હવે તે બીજી ટેસ્ટમાંથી પણ બહાર છે.
BCCI સેક્રેટરીએ અપડેટ આપી
માહિતી આપતાં BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, ‘ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ, જે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ગરદનમાં ઈજાગ્રસ્ત થયો હતો, તે ગુવાહાટીમાં યોજાનારી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કોલકાતા ટેસ્ટના બીજા દિવસે ગિલને ગરદનમાં ઈજા થઈ હતી અને દિવસની રમત પૂરી થયા બાદ તેને તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી. આ પછી તે 19 નવેમ્બર 2025 ના રોજ ગુવાહાટી પહોંચ્યો હતો. જો કે, તે સંપૂર્ણ રીતે ફિટ નથી અને તેથી તે બીજી ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં. હવે તે વધુ તપાસ અને સારવાર માટે મુંબઈ જવા રવાના થશે. તેની ગેરહાજરીમાં રિષભ પંત ટીમનું સુકાન સંભાળશે.
ભારત માટે મોટો આંચકો
ભારત માટે આ એક મોટો ઝટકો છે કારણ કે ટીમ દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટ હારી ગઈ હતી. ટીમ 124 રનનો લક્ષ્યાંક પણ હાંસલ કરી શકી ન હતી અને 30 રનથી પાછળ રહી ગઈ હતી. ત્યારે ગિલ ખૂબ જ મિસ થયો હતો. હવે બીજી ટેસ્ટમાં તેની ગેરહાજરી નુકસાનનું કારણ બની શકે છે. ભારત પહેલાથી જ 0-1થી પાછળ છે અને ક્લીન સ્વીપનો ખતરો તોળાઈ રહ્યો છે.
પંત પ્રથમ વખત ટેસ્ટમાં કેપ્ટનશીપ કરશે
પંત પ્રથમ વખત ટેસ્ટમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ તેના માટે પોતાને સાબિત કરવાની મોટી તક છે. છેલ્લી ટેસ્ટમાં પંત વધુ બેટિંગ કરી શક્યો ન હતો. તે પ્રથમ દાવમાં 27 રન અને બીજી ઈનિંગમાં બે રન બનાવીને આઉટ થયો હતો. હવે તે ટીમ ઈન્ડિયાને તેની કેપ્ટનશિપમાં શ્રેણી જીતાડીને શ્રેણીમાં વાપસી કરવા ઈચ્છશે. ભારત માટે આ મહત્વપૂર્ણ મેચ છે. ગીલની જગ્યાએ સાઈ સુદર્શનને ચોથા નંબર પર રમવાની તક મળી શકે છે. અથવા ગંભીરની ઓલરાઉન્ડર વ્યૂહરચના હેઠળ નીતિશ રેડ્ડીને પણ તક આપવામાં આવી શકે છે.

