રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું કે જો જાતિના ભેદભાવને ખતમ કરવો હશે તો સૌથી પહેલા મનમાંથી જાતિને ભૂંસી નાખવી પડશે. ભાગવતે છત્રપતિ સંભાજીનગરમાં આયોજિત જાહેર સેમિનારમાં કહ્યું, ‘પહેલાં જાતિ વ્યવસાય અને કામ સાથે સંબંધિત હતી, પરંતુ પછીથી તે સમાજમાં પ્રવેશ કરી અને ભેદભાવનું કારણ બની.’ આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે જનતા સાથે વાતચીત કરી હતી. મંચ પર પ્રાંત સંઘના નેતા અનિલ ભાલેરાવ પણ હાજર હતા.
મોહન ભાગવતે જાતિવાદની સમસ્યા વિશે વાત કરતા લોકોને પોતાના મનમાંથી તેને દૂર કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, ‘આ ભેદભાવ ખતમ કરવા માટે જ્ઞાતિને મનમાંથી ભૂંસી નાખવી પડશે. જો આ ઈમાનદારીથી કરવામાં આવે તો 10થી 12 વર્ષમાં જાતિવાદ ખતમ થઈ જશે. ઉપસ્થિત લોકોના પ્રશ્નોના જવાબ આપતા ભાગવતે કહ્યું કે સંઘનો ઉદ્દેશ્ય ભારતને તેનું શ્રેષ્ઠ ગૌરવ અપાવવાનો છે અને સમાજને પણ સાથે લઈ જવાનો છે.
ભાગવતે સંઘના ઉદ્દેશ્ય વિશે શું કહ્યું?
આરએસએસના વડાએ કહ્યું કે સંઘ વ્યક્તિના ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરે છે અને તે પ્રતિક્રિયા તરીકે સ્થાપિત સંગઠન નથી કે તે કોઈની સાથે સ્પર્ધા કરતું નથી. મોહન ભાગવતે કહ્યું, ‘સંઘનો ઉદ્દેશ્ય ભારત અને સમગ્ર સમાજને તેના શ્રેષ્ઠ ગૌરવ સુધી લઈ જવાનો છે. સંઘ પોતાને મોટું કરવા માંગતો નથી; તે સમાજને મોટો બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે જો લોકોએ સંઘને સમજવો હોય તો તેની શાખાઓમાં આવવું જોઈએ.

