શાહરૂખ ખાનના ફેન્સ હંમેશા તેની નવી ફિલ્મ જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે. હાલમાં જ કિંગ ખાને તેના ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. ચાલો જાણીએ બોલીવુડના બાદશાહે કઈ નવી જાહેરાત કરી છે.
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને પોતાના ફેન્સ માટે એક ખાસ ભેટ આપી છે. તેણે સોશિયલ મીડિયા પર ‘શાહરુખ ખાન ફિલ્મ ફેસ્ટિવલ’ની જાહેરાત કરી છે, જેમાં તેની સુપરહિટ જૂની ફિલ્મો ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સમાચાર સાંભળીને, ચાહકોમાં ઉત્સાહની લહેર છે, કારણ કે આ તેમના માટે મોટા પડદા પર SRKના રોમાન્સ, ડ્રામા અને જાદુને ફરીથી જીવંત કરવાનો મોકો છે.
શાહરૂખે તેની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ સાથે મળીને આ ફેસ્ટિવલની જાહેરાત કરી હતી. તેણે મજાકિયા અંદાજમાં લખ્યું, ‘મારી કેટલીક જૂની ફિલ્મો ફરી થીએટરમાં આવી રહી છે. એ વ્યક્તિ બહુ બદલાઈ નથી, બસ વાળ થોડા બદલાયા છે અને હૃદય થોડું વધારે હેન્ડસમ થઈ ગયું છે.
આ ફેસ્ટિવલ 31 ઓક્ટોબરથી શરૂ થશે અને ભારતમાં PVR INOX ના પસંદગીના થિયેટરોમાં યોજાશે. એટલું જ નહીં આ ફેસ્ટિવલ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવશે. શાહરૂખની ફિલ્મો YRF ઈન્ટરનેશનલ દ્વારા મિડલ ઈસ્ટ, નોર્થ અમેરિકા, યુકે, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં રિલીઝ થશે.
મોટા પડદા પર ફરી ચમકશે SRKનો જાદુ
આ ફેસ્ટિવલ શાહરૂખના ચાહકો માટે નોસ્ટાલ્જિક સફર બની રહેશે. ‘કભી હાં કભી ના’ થી ‘જવાન’ સુધી, તેની આઇકોનિક ફિલ્મો દર્શકોને ફરીથી થિયેટરોમાં આકર્ષિત કરશે. શાહરૂખની ફિલ્મો હંમેશા તેની રોમેન્ટિક શૈલી, દમદાર સંવાદો અને ભાવનાત્મક વાર્તાઓ માટે જાણીતી છે.
શાહરૂખ ખાને ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત કરી
‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નો રાજ હોય કે ‘ચક દે ઈન્ડિયા’ના કોચ કબીર ખાન, દરેક પાત્રે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ ફેસ્ટિવલ દ્વારા ચાહકો માત્ર શાહરૂખની જૂની ફિલ્મો જ નહીં માણી શકશે પરંતુ નવી પેઢી પણ મોટા પડદા પર તેનો જાદુ અનુભવી શકશે.
ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
શાહરૂખનું આ પગલું તેના ચાહકો માટે એક અદ્ભુત સરપ્રાઈઝ છે, જેઓ તેની સાથે વીતેલી ક્ષણોને ફરીથી જીવવા માંગે છે. તો તૈયાર થઈ જાવ કારણ કે SRKનો જાદુ 31મી ઓક્ટોબરથી ફરી સિનેમાઘરોમાં આવવાનો છે.

