ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI અને ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જે સ્ટાર ખેલાડીઓ ટીમમાં નથી અથવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમી રહ્યા, તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે. આ સીરીઝમાં ભારતની T20 ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઓલરાઉન્ડર શિવમ દુબે પણ વિજય હજારે ટ્રોફી રમતા જોવા મળશે. આ બંને ખેલાડીઓ આ ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં મુંબઈની છેલ્લી બે મેચમાં રમશે, જ્યારે યશસ્વી જયસ્વાલ 29 ડિસેમ્બરે ટીમ સાથે જોડાઈ શકે છે.
આ ટોપ 50-50 ઓવર ડોમેસ્ટિક ટુર્નામેન્ટ 24 ડિસેમ્બરથી શરૂ થશે અને તેની ગ્રુપ સ્ટેજની મેચો અમદાવાદ, રાજકોટ, જયપુર અને બેંગલુરુ એમ ચાર સ્થળોએ યોજાશે. સૂર્યકુમાર અને દુબે 6 અને 8 જાન્યુઆરીએ જયપુરમાં હિમાચલ પ્રદેશ અને પંજાબ સામેની મેચો માટે ઉપલબ્ધ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે ગેસ્ટ્રાઇટિસથી સ્વસ્થ થઈ રહેલા ઓપનર યશસ્વી જયસ્વાલ 29 ડિસેમ્બરે ટીમ સાથે જોડાઈ શકે છે. તેઓ થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ હવે તે સંપૂર્ણ સ્વસ્થ થવાના આરે છે.
પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા જયપુર પહોંચી ગયો છે, જ્યાં મુંબઈ તેની ગ્રુપ ફેઝ મેચ રમવાની છે. મુંબઈ, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગોવાની સાથે ગ્રુપ સીમાં છે. દક્ષિણ આફ્રિકા સામેની હોમ સિરીઝ બાદ BCCIએ ભારતીય ખેલાડીઓને વિજય હજારે ટ્રોફીમાં ભાગ લેવા માટે કહ્યું છે. આ જ કારણ છે કે મોટા ખેલાડીઓ પોતપોતાની સ્થાનિક ટીમો માટે પોતાને ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
ગિલ-વિરાટ પણ ટૂર્નામેન્ટ રમશે
ટેસ્ટ અને ODI ટીમના કેપ્ટન શુભમન ગિલ, ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને T20 ટીમના ઓપનર અભિષેક શર્માને પંજાબની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે વિરાટ કોહલી અને રિષભ પંત દિલ્હી માટે વિજય હજારે ટ્રોફી રમશે. છેલ્લા એક દાયકામાં આ પ્રથમ વખત હશે, જ્યારે મોટા સ્ટાર ખેલાડીઓ ઘરેલુ ટૂર્નામેન્ટમાં સાથે જોવા મળશે. જોકે, મુખ્ય ખેલાડીઓ જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામેની ODI અને T20 શ્રેણી દરમિયાન વિજય હજારે ટ્રોફીમાંથી ખસી જશે. આ પછી T20 વર્લ્ડ કપ 2026 રમાશે.

