ક્રિકેટ T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. છેલ્લી વખત T20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાયો હતો, જ્યાં ભારતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટાઈટલ જીત્યું હતું. આ વખતે ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટાઈલ્સનો બચાવ કરવા જશે. આ દરમિયાન તે પાકિસ્તાનનો સામનો પણ કરી શકે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આ ટુર્નામેન્ટનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે.
T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ ક્યારે જાહેર થશે?
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ મંગળવારે (25 નવેમ્બર) T20 વર્લ્ડ કપ 2026ના શેડ્યૂલની જાહેરાત કરવા જઇ રહી છે. આ જાહેરાત ભારતીય સમય અનુસાર મંગળવારે સાંજે 6.30 વાગ્યે કરવામાં આવશે. અહેવાલો અનુસાર, આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમને પાકિસ્તાન, અમેરિકા, નેધરલેન્ડ અને નામિબિયા સાથેના ગ્રુપમાં રાખવામાં આવી છે. આ દરમિયાન તેનો મુકાબલો 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે થઈ શકે છે. આ સિવાય ટીમ ઈન્ડિયા બાકીની તમામ મેચ ભારતમાં જ રમશે.
આ ટુર્નામેન્ટ આ 20 ટીમો વચ્ચે રમાશે
T20 વર્લ્ડ કપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની ધારણા છે અને 8 માર્ચ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાન તેની તમામ મેચો શ્રીલંકામાં રમશે. યજમાન ભારત અને શ્રીલંકા ઉપરાંત ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 18 ટીમોમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુનાઈટેડ સ્ટેટ્સ, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, ઈટાલી, નેધરલેન્ડ, નામીબિયા, ઝિમ્બાબ્વે, નેપાળ, ઓમાન અને યુએઈનો સમાવેશ થાય છે.
ટીમ ઈન્ડિયાની મેચ શેડ્યૂલ
અહેવાલો અનુસાર, T20 વર્લ્ડ કપના પહેલા દિવસે ભારત 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં તેની પ્રથમ ગ્રુપ મેચ અમેરિકા સામે રમશે. આ પછી તેનો મુકાબલો 12 ફેબ્રુઆરીએ દિલ્હીમાં નામીબિયા સાથે થશે. ત્યારબાદ પાકિસ્તાનનો સામનો કર્યા બાદ તેની છેલ્લી ગ્રુપ મેચ 18મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં નેધરલેન્ડ સામે થશે. ગ્રુપ સ્ટેજ પછી 8 અન્ય બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થશે. જેને 4-4ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. આ પછી, બંને જૂથમાંથી 2-2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે અને ત્યારબાદ ફાઇનલ મેચ રમાશે.

